ઈરાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધના કારણે હપ્તાઓ સુધી બંધ રહેલા એરપોર્ટ્સ હવે કાર્યરત થઈ ગયા છે. સોમવારથી ઈરાનની રાજધાની તેહરાનના બે સૌથી મહત્વના એરપોર્ટ, ઇમામ ખુમેની ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મેહરાબાદ એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઇટ્સની અવરજવર માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
એવિએશન ઓથોરિટીનો નિર્ણય
ISNA ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશને એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તમામ સુરક્ષા પ્રોટોકોલની તપાસ બાદ હવે મુસાફરો માટે ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી એવા હજારો મુસાફરોને રાહત મળી છે જેઓ યુદ્ધના કારણે ઈરાનમાં ફસાયા હતા અથવા વિદેશથી પરત આવવા માંગતા હતા.
કેમ બંધ કરવામાં આવ્યું હતું એરસ્પેસ?
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ વણસી હતી. સુરક્ષાના કારણોસર ઈરાને તાત્કાલિક અસરથી પોતાનું એરસ્પેસ (હવાઈ માર્ગ) બંધ કરી દીધું હતું અને તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી. લગભગ એક મહિના કરતા વધુ સમય સુધી ઈરાનનો અન્ય દેશો સાથેનો હવાઈ સંપર્ક કપાયેલો રહ્યો હતો.
યુદ્ધવિરામ બાદ સ્થિતિમાં સુધારો
અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ બાદ આ ક્ષેત્રમાં તણાવ ઘટ્યો છે. એરપોર્ટ્સ ખુલવા એ સંકેત આપે છે કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. ઇમામ ખુમેની ઇન્ટરનેશનલ એરપોર્ટ ઈરાનનું મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે હવે વિદેશી ફ્લાઇટ્સ માટે ખુલ્લું છે. મેહરાબાદ એરપોર્ટ એરપોર્ટ મુખ્યત્વે સ્થાનિક (Domestic) ઉડાન માટે વપરાય છે, જે પણ હવે કાર્યરત થઈ ગયું છે.
જોકે, એવિએશન ઓથોરિટીએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની એરલાઇન્સ પાસેથી ફ્લાઇટના શેડ્યૂલની પુષ્ટિ કરી લે, કારણ કે લાંબા વિરામ બાદ ફ્લાઇટ્સને સંપૂર્ણ રીતે ગોઠવવામાં થોડો સમય લાગી શકે છે. ઈરાનમાં હવાઈ મુસાફરી ફરી શરૂ થવી એ આર્થિક અને રાજદ્વારી દૃષ્ટિએ સામાન્ય સ્થિતિ સ્થાપવા તરફનું એક મોટું પગલું માનવામાં આવે છે.