જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૫ કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડુ

  • May 27, 2023 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાની ગોમતી નદીના કિનારે ૧૦ ફુટ મોજા ઉછળતા કૃષ્ણભકતોને સ્નાનથી દુર રખાયા: ઓખા-બેટ દ્વારકા ફેરી સર્વિસ બંધ કરાઇ: આગામી બે દિવસ હજુ પણ પવન ફુંકાશે તેવી હવામાન ખાતાની આગાહી

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે ૭૫ કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડુ ફુંકાતા લોકોમાં ગભરાટની લાગણી જન્મી હતી, દરિયામાં મોજા ઉછળી રહ્યા હતાં, દ્વારકાની ગોમતી નદીના કિનારે દરિયો ગાંડોતુર બન્યો હતો અને ૧૦ ફુટ મોજા ઉછળતા કૃષ્ણભકતોને ગોમતી સ્નાનથી દુર રખાયા હતાં, ઓખા-બેટદ્વારકા ફેરી સર્વિસ પણ ગઇકાલે બંધ કરી દેવામાં આવી હતી, આગામી બે દિવસ સુધી હજુ પણ ભારે પવન ફુંકાશે તેવી હવામાન ખાતાની આગાહી છે. આજ સવારથી દ્વારકાના કેટલાક ગામડાઓમાં વાદળીયું વાતાવરણ જોવા મળ્યું હતું.
ગઇકાલે બપોર બાદ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો હતો, બપોર બાદ પવનની ઝડપ વધી હતી, ગામડાઓમાં કેટલાક ઝાડની ડાળીઓ તુટી ગઇ હતી અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા, ઓખા, મીઠાપુરમાં મીની વાવાઝોડુ ફુંકાયું હતું, લોકો પણ ડરના માર્યા કાંઇ બોલી શકતા ન હતાં, હવામાન ખાતુ તો કહે છે કે, હજુ બે દિવસ સુધી ભારે પવન રહેશે જેના કારણે જનજીવન પર ભારે અસર થશે.
સૂર્યદેવતાએ જામનગર ઉપર લાલ આંખ કરી છે, જામનગર ભઠ્ઠીમાં ફેરવાઇ રહ્યું છે, ગઇકાલે બપોર બાદ અસહ્ય ગરમી શરુ થઇ છે, આજે સવારે મહત્તમ તાપમાન ૩૭.૧ ડીગ્રી થઇ જતાં લોકો ભારે પરેશાન થઇ ગયા છે અને હજુ બે દિવસ સુધી અસહ્ય ગરમી રહેેશે, દરિયાકીનારા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી જશે, ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરુ કરી દીધું છે, ચામડી દાઝી જાય તેવો પ્રખર તાપ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે, આજથી ફરીથી ગરમીનો રાઉન્ડ શરુ થશે અને બે દિવસ સુધી જામનગર જિલ્લામાં સતત પવન ફુંકાશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ ૩૭.૧ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૯.૩ ડીગ્રી, હવામાં ભેજ ૮૦ ટકા અને પવનની ગતિ ૭૦ થી ૭૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
બળબળતા તાપને કારણે લોકો સવારથી જ પરેશાન થઇ ગયા છે, ઠંડા પીણા, બરફ, ગોલા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, જયુશ, નાળીયેર પાણીનો સહારો લઇ રહ્યા છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે અને વધુ ગરમી પડવાની પુરી શકયતા છે.
 ગરમીને કારણે ખેતી કામ કરતા મજુરોને પણ ભારે તાપ સહન કરવો પડે છે, એટલું જ નહીં જામનગરમાં હટાણું કરવા આવતા લોકોને પણ ખુબ જ મુશ્કેલી પડે છે ત્યારે આ કાળઝાળ ગરમીને કારણે લોકો વ્યથીત થયા છે. વેકેશન છે ત્યારે બાળકોને શાળાએ જવાનું ન હોય તેને રાહત મળી છે પરંતુ લગ્નગાળો હોય લોકો પાણીની પ્યાસ બુઝાવવા વલખા મારી રહ્યા છે.
શહેરમાં આકરો તાપ શરુ થઇ ચૂકયો છે, સવારથી જ વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે, આકાશમાં વાદળો છવાયા છે, જો કે વરસાદની કોઇ શકયતા નથી હજુ બે દિવસ સુધી આકાશમાંથી અંગારા વરસશે તેની સાથે પવન પણ ફુંકાશે એવી હવામાન ખાતાની આગાહી છે. ગઇકાલથી તાપ શરુ થયો છે, આજે પણ સૂર્યદેવતા લાલચોળ થઇ ગયા છે. ગામડાઓમાં પણ સવારથી જ ગરમી શરુ થઇ છે, કેટલાક ગામડાઓ અને જામનગર શહેરમાં પીજીવીસીએલની પ્રિ-મોનસુનની કામગીરીના બહાને આજે પણ લાઇટો બંધ કરી દેવામાં આવી છે. ગઇકાલે પટેલકોલોની, ગાંધીનગર, મચ્છરનગર, મોમાઇનગર, નવાગામ ઘેડ, રામેશ્ર્વરનગર, ઇવા પાર્ક સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે બે કલાકો સુધી લાઇટો ગુલ થઇ જતાં લોકોએ ભારે પરેશાની અનુભવી હતી, એટલું જ નહીં પેટના દુ:ખાવા અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં પણ વધારો થઇ ચૂકયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application