રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી સચિવાલયના વિવિધ વિભાગોમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા એક મહત્વપૂર્ણ આદેશ અનુસાર, રાજ્યના વહીવટી માળખામાં ફરજ બજાવતા કુલ ૩૬ સેક્શન અધિકારીઓની (એસ.ઓ) બદલી કરવામાં આવી છે. આ સાથે જ, ૮૧ જેટલા નાયબ સેક્શન અધિકારીઓને (ડી વાય એસ ઓ) સેક્શન અધિકારી તરીકે પ્રમોશન (બઢતી) આપીને નવી નિમણૂકો સોંપવામાં આવી છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૭ મે ૨૦૨૬ના રોજ મોડી સાંજે આ અંગેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને વિકાસકાર્યોમાં ગતિ લાવવા માટે આ નિર્ણય લેવાયો છે. લાંબા સમયથી એક જ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓની જગ્યાએ નવા અને અનુભવી ચહેરાઓને તક આપીને વિભાગીય કાર્યક્ષમતા વધારવાનો સરકારનો આશય છે.
આ સામૂહિક બદલી અને બઢતીના કારણે ગૃહ વિભાગ, નાણાં વિભાગ, મહેસૂલ વિભાગ, અને શહેરી વિકાસ વિભાગ જેવા મહત્વના સરકારી વિભાગોના વહીવટી સમીકરણો બદલાયા છે. પ્રમોશન મેળવનારા ૮૧ નાયબ સેક્શન અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જવાબદારીઓ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે બદલી પામેલા ૩૬ સેક્શન અધિકારીઓને પણ તેમના નવા નિયુક્ત સ્થળે હાજર થવા આદેશ કરાયો છે.
કુલ ૧૧૭ જેટલા ઉચ્ચ અને મધ્યમ સ્તરના વહીવટી અધિકારીઓની સામૂહિક બદલી-બઢતી
બદલીમા ૩૬ અનુભવી સેક્શન અધિકારીઓને નવા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.જયારે બઢતીમા ૮૧ નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે બઢતી સાથે નવી નિમણૂક.
સરકારના આ વહીવટી કાયાકલ્પથી સરકારી યોજનાઓના અમલીકરણમાં ઝડપ આવશે અને સચિવાલયની રોજબરોજની કામગીરી વધુ સુમેળભરી બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હજુ પણ કેટલાક અન્ય સંવર્ગના અધિકારીઓની બદલીઓ થાય તેવી શક્યતાઓ વહીવટી વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.