જામનગર: તા.૦૮ જૂનના રોજ રંગમતી સિંચાઇ યોજનામાંથી ચેકડેમ ભરવા નદીમાં પાણી છોડાશે
નીચવાસના ગામો અને જામનગર શહેરના નાગરિકોને નદીના પટમાં ન જવા તંત્રની તાકીદ
જામનગર તા.05, જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલી રંગમતી સિંચાઇ યોજનામાંથી સરકાર કક્ષાએથી ડેમની નીચવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટેની મંજૂરી પ્રાપ્ત થઈ છે. જે અન્વયે આગામી તા. ૦૮/૦૬/૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૦૮:૦૦ કલાક બાદ રંગમતી ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવનાર છે. જેને પગલે તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો અને સંબંધિત ગ્રામજનોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.જામનગર સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર, ડેમમાંથી નદીમાં પાણી છોડાવાનું હોવાથી રંગમતી ડેમની નીચવાસમાં આવેલા ચંગા, ચેલા, દરેડ, જામનગર શહેર, જુના નાગના તેમજ નવા નાગના ગામના તમામ નાગરિકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, માલઢોર રાખતા પશુપાલકો અને નદીના પટમાં શાકભાજી કે અન્ય વાવેતર વાવનારાઓને પણ પોતાના પશુઓ સાથે નદીના પટમાં પ્રવેશ ન કરવા અને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે.
વધુમાં, રંગમતી સિંચાઇ યોજનાના ઉપરવાસમાં આવેલા ટી.બી.સી. વિસ્તારના જે ખેડૂતોનું પિયત ચાલુ હોય, તેઓને તાત્કાલિક અસરથી પિયત બંધ કરવા જણાવાયું છે. તેમજ નદી કિનારે રાખેલી તેઓની મોટર, પંપ કે અન્ય મશીનરી સુરક્ષિત સ્થળે દૂર કરી જરૂરી વ્યવસ્થા ગોઠવી લેવા સિંચાઇ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.