આર્થિક જગતમાં ભારતની વધતી જતી વૈશ્વિક છાપના ભાગરૂપે મુંબઈ ખાતે એક ભવ્ય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન (IBF) ના સેક્રેટરી ડૉ. હિરેન ગાંધી દ્વારા વિયેતનામની અગ્રણી સંસ્થાઓ 'વિયેતનામ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી' (VCCI) તથા 'ઇન્વેસ્ટ ગ્લોબલ વિયેતનામ' સાથે ત્રણ મહત્વના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
કયા ક્ષેત્રોમાં થશે સહકાર?
આ ત્રણ MoU દ્વારા બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો આગામી સમયમાં ટેક્નોલોજી અને આધુનિક ઉદ્યોગો પર કેન્દ્રિત રહેશે:
નવી ટેક્નોલોજી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર્સ ક્ષેત્રે સંયુક્ત વિકાસ.
પરંપરાગત ઉદ્યોગ: વેપાર, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરમાં પરસ્પર સહયોગ.
પર્યટન: બંને દેશો વચ્ચે ટૂરિઝમને પ્રોત્સાહન આપી સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવું.
વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમની ગરિમામાં વધારો કરતા વિયેતનામના રાષ્ટ્રપતિ શ્રી લામ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ દિગ્ગજોની હાજરી ભારત-વિયેતનામ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોની ગંભીરતા અને મહત્વ દર્શાવે છે.
વૈશ્વિક પ્રશંસા
ડૉ.હિરેન ગાંધી દ્વારા લિખિત પુસ્તક “India & Vietnam – Immense Opportunity” વિયેતનામી પ્રતિનિધિમંડળને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક અંગેની મુખ્ય હાઈલાઈટ્સની વાત કરીએ તો પુસ્તકમાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણની વિશાળ તકોનું વિગતવાર વિશ્લેષણ છે. જેના કારણે VCCI એ ડૉ. ગાંધીના ૩૭ વર્ષના અનુભવની પ્રશંસા કરતા આ પુસ્તકનું વિયેતનામી ભાષામાં અનુવાદ કરવાની ભલામણ કરી છે. ડૉ. ગાંધીએ જણાવ્યું કે આગામી વર્ષોમાં કૃષિ, ટેક્નોલોજી અને ગ્લોબલ સપ્લાય ચેઇન ક્ષેત્રે ભારત-વિયેતનામની ભાગીદારી નિર્ણાયક સાબિત થશે.