ચૂંટણી પંચ તરફથી આચાર સંહિતાના ઉલ્લંઘન મમલે PM મોદીને મળી ક્લીન ચિટ, જાણો શું કહ્યું ECએ

  • April 25, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીએમ મોદીએ હિન્દુ દેવી-દેવતાઓ, હિન્દુ ધર્મસ્થાનો, શીખો અને શીખ ગુરુઓના પવિત્ર સ્થળોના નામે વોટ માંગ્યા હોવાનો લાગ્યો હતો આરોપ


લોકસભા ચૂંટણી 2024ના ઉત્સાહ વચ્ચે પીએમ મોદીને ચૂંટણી પંચ તરફથી ક્લીનચીટ મળી ગઈ છે. ચૂંટણી પંચનો પહેલો નિર્ણય પીએમ મોદી વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદમાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચનું માનવું છે કે યુપીની પીલીભીત રેલીમાં રામ મંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી.


ચૂંટણી પંચે કહ્યું કે તે રામ મંદિરના નિર્માણના ઉલ્લેખને ધર્મના આધારે વોટની અપીલ તરીકે મનાતું નથી. ચૂંટણી પંચ ટૂંક સમયમાં ફરિયાદી વકીલ આનંદ જોંડલેને જવાબ મોકલી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચનું માનવું છે કે વડાપ્રધાન મોદી તેમની સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા અને તેમનું નિવેદન કોઈપણ પ્રકારની કડવાશને પ્રોત્સાહન આપતું નથી. ઉલ્લેખનીય છે કે પીલીભીતની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણ અને કરતાપુર કોરિડોરના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. પીલીભીતમાં રેલીમાં વડાપ્રધાન મોદીએ રામ મંદિર નિર્માણને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.


સમગ્ર મામલો એવો છે કે સુપ્રીમ કોર્ટના વકીલ આનંદ એસ. જોંડલેએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે 9 એપ્રિલે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ચૂંટણી રેલીમાં વડા પ્રધાન મોદીએ હિન્દુ દેવી-દેવતાઓ અને હિન્દુ ધર્મસ્થાનો અને શીખો અને શીખ ગુરુઓના પવિત્ર સ્થળોના નામે વોટ માંગ્યા હતા. તેમણે પીએમ મોદી પર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી પર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા ચૂંટણી પંચને તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને લખેલા પત્રમાં યેચુરીએ આરોપ લગાવ્યો હતો કે તેમના ભાષણમાં રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી પંચ સમક્ષ હજુ વધુ ફરિયાદો છે. ચૂંટણી પંચે પીએમ મોદી દ્વારા રાજસ્થાનમાં આપેલા ભાષણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદોની તપાસ શરૂ કરી છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે. કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ)એ રવિવારે મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણ અંગે પંચને અલગ-અલગ ફરિયાદો કરી હતી. કોંગ્રેસે રાજસ્થાનના બાંસવાડામાં કરવામાં આવેલી તેમની 'સંપત્તિની પુનઃવિતરણ' ટિપ્પણીઓ માટે કમિશનને વિનંતી કરી છે કે ટિપ્પણીઓ 'વિભાજનકારી' અને 'દૂષિત' છે અને ચોક્કસ ધાર્મિક સમુદાયને નિશાન બનાવવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application