ગુલાબનગરમાં ધમકીથી ડરીને ચોકીદારે ઓલઆઉટ પીધું

  • March 03, 2023 11:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને ચોકીદારી કરતાં એક યુવાને કહેવાતા પત્રકારની ધાક ધમકીથી ડરી જઈ જંતુનાશક દવા વાળું લિક્વિડ પી લેતાં વિપરિત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ધમકી આપનાર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.


 આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને રવિ પાર્ક વિસ્તારમાં આવેલા એક મકાનના બાંધકામના સ્થળે ચોકીદારી કરતા અબ્દુલભાઈ સલીમભાઈ જોખિયા નામના ૨૮ વર્ષના યુવાને ગઈકાલે મચ્છર મારવાનું પ્રવાહી પી લેતાં વિપરીત અસર થવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.


 પોલીસમાં જાહેર કરાયા અનુસાર જંતુનાશક દવા વાળું પ્રવાહી પી લેનાર અબ્દુલભાઈ જોખિયા કે જેને ગુલાબનગર રવિ પાર્ક વિસ્તારમાં જ રહેતા અને પત્રકાર તરીકેની ઓળખ આપતા હાજી શેરમામદ દોદાણી નામના શખ્સે ધમકી આપી હતી, અને તું જે જગ્યાએ બાંધકામની ચોકીદારી કરે છે, તેના શેઠ સંજય પ્રજાપતિ બિલ્ડર વિરુદ્ધ મેં જામનગર મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગમાં અરજીઓ કરી છે, અને તારે આ સ્થળે ચોકીદારી કરવાની નથી, તારે નોકરી મૂકી દેવાની છે, તેમ કહી ધાક ધમકી આપી હતી.


 જેથી ચોકીદારને મનમાં લાગી આવતાં મચ્છર મારવાનું ઑલઆઉટ નામનું પ્રવાહી પી લીધું હોવાનું જાહેર કર્યું હતું. જે નિવેદનના આધારે સીટી બી. ડિવિઝનના મહિલા પીએસઆઇ એસ.વી. સામાણીએ ફરિયાદીને ધાક ધમકી આપનાર હાજી શેરમામદ દોદાણી સામે આઇપીસી કલમ ૫૦૪ અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application