વાયનાડ મૃતાંક 157....ખેતી માટે આડેધડ જંગલો કાપી નખાતા સર્જાઈ દુર્ઘટના

  • July 31, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેરળના વાયનાડમાં ભારે વરસાદ પછી એક પછી એક એમ ત્રણ વખત ભૂસ્ખલન થયું અને પુરા ચાર ગામ તબાહ થઈ ગયા. અત્યાર સુધીમાં 157 લોકોના મોત થયા છે. હજી સેંકડો લોકો લાપત્તા છે. નિષ્ણાતો કહે છે કે આ માત્ર કુદરતી આપત્તિ જ નથી પરંતુ તેમાં માનવીય હસ્તક્ષેપ પણ જવાબદાર છે. જે વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે, ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે માટીનું ધોવાણ થયું છે. આ જંગલ વિસ્તારમાં આડેધડ વૃક્ષો કાપીને પાક ઉગાડવાનો   પ્રયાસ કરવામાં આવ્યો હતો. વૃક્ષો કાપવાથી જમીન નબળી પડી ગઈ. ભૂસ્તર મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ એમ. રાજીવને જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી મધ્ય અને ઉત્તર કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ દુર્ઘટના એકલા વરસાદના કારણે નથી થઈ. ઢીલી પડી ગયેલી માટીને કારણે જમીનમાં તિરાડ પડવાનું જોખમ વધે છે. લાંબા સમય સુધી માટીના ધોવાણ દ્વારા ભૂસ્ખલન થાય છે.

વાયનાડની સ્થિતિનું અપડેટ

વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 157 થઈ ગયો છે. ભારતીય સેનાના જવાનોએ ચુરલમાલામાં બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. અહીં સેનાની ચાર ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. એનડીઆરએફની ટીમો પણ લોકોને બચાવવા માટે કામ કરી રહી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. વિભાગે કેરળના પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ અને એનર્કિુલમ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાયનાડ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં પણ આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, એનડીઆરએફ અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો બચાવ કામગીરીમાં સામેલ છે. કન્નુરના લગભગ 200 ભારતીય સેનાના જવાનો અને કોઝિકોડની 122 ટીએ બટાલિયન પણ સ્થળ પર હાજર છે.
ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર, એક એમઆઈ-17 અને એક એએલએચ પણ બચાવ કાર્યમાં લાગેલા છે. બચાવ કામગીરીના બીજા દિવસે, ટેરિટોરિયલ આર્મીની 122 પાયદળ બટાલિયનના સૈનિકો મેપ્પડી અને વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે તેમના આશ્રયસ્થાનોમાંથી નીકળી રહ્યા છે.
આફત અને સતત વરસાદને જોતા બુધવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવા આદેશ આપી દેવામાં આવ્યો છે. કેરળના 11 જિલ્લા, કાસરગોડ, કન્નુર, કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, પલક્કડ, થ્રિસુર, ઇડુક્કી, એનર્કિુલમ, અલપ્પુઝા અને પથાનમથિટ્ટામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
વાયનાડ ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા 120 થી વધુ લોકો વાયનાડની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનનો ભોગ બનેલા મોટાભાગના લોકો ચાના બગીચાઓમાં કામ કરતા હતા અને રસ્તાના કિનારે અથવા બગીચાઓમાં નાના મકાનોમાં રહેતા હતા.


વરસાદ ચાલુ હોઈ બચાવ કાર્યમાં વિઘ્ન
એનડીઆરએફ કમાન્ડર અખિલેશ કુમારે જણાવ્યું હતું કે, અમે ગઈ કાલે મુંડક્કાઈ ગામમાંથી ઈજાગ્રસ્ત પીડિતોને બચાવ્યા હતા. અમને ડર છે કે પીડિતો ધરાશાયી થયેલી ઈમારતોમાં ફસાયેલા હોઈ શકે છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધીમાં અમે 70 લોકોને બચાવ્યા હતા, જે બાદ ખરાબ હવામાન થવા લગતા અમારે અભિયાન રોકવું પડ્યું હતું. અખિલેશે કહ્યું, ઘણી ટીમો રાહત કાર્ય કરી રહી છે, તેથી અમે મૃત્યુનો ચોક્કસ આંકડો આપી શકતા નથી. અમારી ટીમે જે મૃતદેહો બહાર કાઢ્યા છે તેના વિશે જ અમને ખબર છે. લોકોને નદીની બીજી બાજુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે અને પાસેની એક મસ્જિદમાં આશ્રયસ્થાન આપવામાં આવ્યું છે. હજુ પણ વરસાદ ચાલુ જ છે, તેથી વધુ ભૂસ્ખલનની શક્યતા પણ નકારી શકાતી નથી. વાયનાડ જિલ્લામાં બચાવ કામગીરી માટે તૈનાત સેનાએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કાયમી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધોવાઈ ગયા બાદ અસ્થાયી પુલની મદદથી લગભગ 1000 લોકોને બચાવવામાં સફળતા મેળવી છે.

2018ની પૂર આપદાની યાદ તાજી થઈ
કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનથી લોકોના મનમાં કેરલમાં વર્ષ 2018માં આવેલા પૂરની યાદો તાજી થઈ ગઈ છે, જેને ગંભીર પ્રાકૃતિક આપત્તિ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.આ કુદરતી આફતમાં કેરળમાં 483 લોકોના મોત થયા હતા. આ વિનાશક આપત્તિએ માત્ર લોકોનો જ નહીં પરંતુ સંપત્તિ અને આજીવિકાનો પણ નાશ કર્યો.આ દુર્ઘટના પછી, 3.91 લાખ પરિવારોના 14.50 લાખથી વધુ લોકોને રાહત શિબિરોમાં પુનર્વસન કરવામાં આવ્યું હતું. કુલ 57,000 હેક્ટર કૃષિ પાક નાશ પામ્યો હતો.વર્ષ 2018માં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સગભર્િ મહિલાઓને એરલિફ્ટ કરવામાં આવતી તસવીરો કેરળવાસીઓના મનમાં હજુ પણ તાજી છે. રાજ્યની કુલ વસ્તીના છઠ્ઠા ભાગને એ વખતે પૂર અને સંબંધિત ઘટનાઓથી સીધી અસર થઈ હતી. જ્યારે 2018 ના વિનાશક પૂર પછી રાજ્ય ધીમે ધીમે તેના પગ પર ઉભું થઈ રહ્યું હતું, ત્યારે બીજી આફત 2019માં ત્રાટકી જ્યારે હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોથી લગભગ 10 કિમી દૂર વાયનાડમાં પુથુમાલામાં ભૂસ્ખલન થયું, જેમાં 17 લોકોના મોત થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application