જામનગરથી બેડ મુકાયેલા તલાટીની માત્ર બે જ દિવસમાં બદલી...!

  • December 21, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તલાટી અને કર્મચારી મંડળના હોદેદારોએ જિલ્લા વિકાસ અધિકારીને મળીને રજૂઆત કરી

જામનગર તાલુકાના બેડ ખાતે ફરજ બજાવતા તલાટી મંત્રીની ફલ્લા બદલી થયા બાદ માત્ર બે જ દિવસમાં સીધા જામજોધપુર બદલાવી દેવામાં આવતાં તલાટીઓમાં રોષની લાગણી જન્મી છે, કેટલાક રાજકીય લોકોના ઇશારાને કારણે આ બદલી થઇ છે ત્યારે તલાટી અને કર્મચારી મંડળના હોદેદારોએ ડીડીઓ વિકલ્પ ભારદ્વાજને રુબરુ મળીને આ બદલી રોકવા માંગ કરી છે.
બેડ ખાતે ફરજ બજાવતા તલાટી મંત્રી સિઘ્ધરાજસિંહ જાડેજાની બદલી ફલ્લા કરવામાં આવી હતી, હજુ તેઓ બે દિવસ કામગીરી કરે ત્યાં જ તેની ફરીથી બદલી કરીને જામજોધપુર તાલુકામાં મુકવામાં આવ્યા હતાં, કોઇપણ વાંક વીના તેમની બદલી કરાતા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ દિગુભા જાડેજા તેમજ તલાટી મંત્રી મંડળના હોદેદાર પરેશભાઇ પારગીને ડીડીઓને રુબરુ રજૂઆત કરીને આવી રીતે બદલી ન કરવા જણાવ્યું છે અને આ બદલી પાછળ જિલ્લા પંચાયતના એક પૂર્વ પદાધિકારી અને એક સભ્ય હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ અંગે હાલના પ્રમુખ હજુ સુધી મૌન સેવી રહ્યા છે. આમ જોઇએ તો એક મહીનામાં ત્રણ-ત્રણ વખત બદલી કરવામાં આવી છે, જિલ્લા પંચાયતમાં બદલી પ્રકરણે ભારે ઉહાપોહ જગાવ્યો છે.
જામનગર જિલ્લા પંચાયતમાં પૂર્વ પદાધિકારીઓ અને હાલમાં ફરજ બજાવતાં પદાધિકારીઓ દ્વારા તેમને ન ગમતા કેટલાક કર્મચારીઓને વીણી-વીણીને બદલી કરી નાખે છે તેવો આક્ષેપ થઇ રહ્યો છે, કેટલાકની બદલી મહીનામાં ત્રણ વખત અમુકની બદલી મહીનામાં બે વખત પણ કરી દેવામાં આવી છે, હાલમાં થયેલી બદલીમાં કોનો હાથ છે ? તે પણ જોવું જોઇએ, કર્મચારી મંડળ અને તલાટી મંત્રીના હોેદેદારોએ આ સમગ્ર પ્રકરણમાં ડીડીઓને ઉગ્ર રજૂઆત કરીને રાજકીય પ્રેરીત બદલીઓ અટકાવવા માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application