આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, માછીમારોને દરિયો ન ખેડવા કોસ્ટ ગાર્ડ દ્વારા સુચના

  • August 26, 2024 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






ગુજરાત માટે આગામી 48 કલાક ભારે છે. ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠે વાતાવરણ પ્રતિકૂળ બનવાની શક્યતાના પગલે સ્થાનિક વહિવટી તંત્ર અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયો ખેડવા જઇ રહેલા માછીમારોને આગામી 31 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. તેમજ જે માછીમારો બોટ લઇને દરિયામાં છે તેમને નજીકમાં જે પણ બંદર હોય એ બંદરે વહેલી તકે પહોંચી જવા સૂચના આપવામાં આવી રહી છે.

 

ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ લોકોને નદી-નાળા પાસે ન જવા અને ઢોર-ઢાખરને વ્યવસ્થિત જગ્યાએ બાંધવા અંગેનો સંદેશો આપવામાં આવ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેને લઈને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે




 ગીર સોમનાથ જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સૂચનાને લઈને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર ખડેપગે છે.
દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર રચાયેલું ડીપ ડિપ્રેશન 28/29 ઓગસ્ટની આસપાસ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધવાની અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં પહોંચવાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાની પરિસ્થિતિ અને હવામાન પ્રતિકૂળ બનવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા અને જે બોટો દરિયામાં હોય તેમને નજીકના બંદરે પહોંચવા સૂચના કરવામાં આવી છે.
 

દરિયામાં બોટને ન લઈ જવા માછીમારોને ટોકન આપવામાં આવશે નહીં, આથી ટોકન આપવાની કામગીરી બંધ છે. અમરેલી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ બોટ અને હોડી માલિકો અને એસોસિએશન પ્રમુખ અને માછીમાર આગેવાનોને માછીમારોને તે અંગેની જાણ કરવા અપીલ છે. માછીમારોના જાન-માલને નુકશાન ન થાય તે માટે સાવચેતી રાખવી. માછીમારોએ પોતાની બોટ સલામત અને સુરક્ષિત સ્થળે લંગારવી, તેમ અમરેલી જિલ્લા - જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે જણાવ્યું છે. ​​​​​​​


રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગની 26 ઓગસ્ટ 2024ની સૂચના અનુસાર પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હવામાન પલટાયું છે. ભારે પવન ફુંકાવાનો માછીમારોને તેમના બોટસ માટે ટોકન ઇસ્યુ થઈ શકશે નહીં. 31 ઓગસ્ટ 2024 સુધી પલટાયેલા હવામાન તથા ભારે પવન ફુંકાવાની આગાહી છે. આથી, જિલ્લામાં માછીમારી કરતા હોય તે તમામને તેમની બોટને તાત્કાલિક અસરથી પરત ફરવા સૂચના છે. વધુમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા અનુરોધ કરવામાં આવ્યો છે.




ગાંધીનગર મત્સ્યોદ્યોગ કમિશનના પત્ર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ તા.26 ઓગસ્ટથી તા.31 ઓગસ્ટ, 2024 સુધી ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારી માટે ગયેલી તમામ બોટને પરત બોલાવવા માટે સૂચના છે. આ સ્થિતિમાં અમરેલી જિલ્લા કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ બોટ-હોડી માલિકો અને એસોસિએશન પ્રમુખ અને માછીમાર આગેવાનોને પોતાની બોટ સલામત અને સુરક્ષિત સ્થળોએ લાંગરવા માટે જણાવવામાં આવે છે. ખાસ કરીને માછીમારોને જાનમાલની નુકશાની ન થાય તે માટે અગમચેતી રાખવા માટે અનુરોધ છે.










લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application