એટલાન્ટિસ અગ્નિકાંડના બદલે મચ્છરના મોત ચર્ચાયા

  • March 19, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા એટલાન્ટિસ અગ્નિકાંડમાં થયેલા ત્રણ માનવ મોતની ચર્ચાની માંગ કરવામાં આવી હતી પરંતુ મેયરએ પ્રશ્ન ક્રમાંક મુજબ જ પ્રશ્ન ચર્ચાશે તેમ જણાવી વિપક્ષની માંગ ફગાવી દીધી હતી. વિપક્ષએ એટલાન્ટિસ અગ્નિકાંડમાં થયેલા માનવ મોતની ચર્ચાની માંગ સતત દોહરાવ્યે રાખી હતી. બીજી બાજુ શાસકોએ આજી નદીકાંઠા વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ નાથવા મહાનગરપાલિકા તંત્રએ શું શું પગલાં લીધા, કઇ પ્રકારના અને કેટલા મચ્છરોને કેવી રીતે માર્યા તેના વિસ્તૃત અહેવાલનું ૫૦ મિનિટ સુધી વાંચન કરાવ્યું હતું અને પહેલા ક્રમે ચર્ચાયેલા આ પ્રશ્નની ચર્ચામાં પ્રશ્નકાળ પૂર્ણ થયો હતો.

જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભ પૂર્વે ૧૦-૪૫ વાગ્યા આજુબાજુ મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને તેમના સાથી કોર્પોરેટર કોમલબેન ભારાઇ કારમાં ફાયર એક્સટીન્ગ્યુશર સાથે લઇને પ્રવેશ્યા હતા અને કચેરીના પાર્કિંગમાં કાર મૂકી આગ બુઝાવવા માટેના બાટલા સાથે લઇને કારમાંથી બહાર નીકળ્યા હતા. આગ બુઝવવાના બાટલામાંથી સ્પ્રે કરીને તેમણે એટલાન્ટિસ અગ્નિકાંડના માનવ મોતને મામલે અવાજ ઉઠાવવા પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. દરમિયાન તેઓ આગ બુઝાવવાના આ બાટલા સાથે લઇને સભાગૃહમાં જવા ઇચ્છુક હતા પરંતુ સ્થળ ઉપર બંદોબસ્તમાં રહેલા વિજિલન્સ પોલીસના ડીવાયએસપી આર.બી.ઝાલા તથા જવાનોએ તેમને રોકી લીધા હતા, સભાગૃહમાં પ્રવેશતા રોકતા વિજિલન્સ પોલીસ અને વિપક્ષી સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઇ હતી તેના કારણે ૧૧ કલાકે સભાની કાર્યવાહી શરૂ થઇ ગયા બાદ લગભગ ૧૫ મિનિટ પછી વિપક્ષી સભ્યો સભાગૃહમાં પ્રવેશ્યા હતા. અલબત્ત વિજિલન્સ પોલીસે આગ બુઝવવાના બાટલા સભાગૃહની બહારથી જ જપ્ત કરી લીધા હતા ત્યારબાદ જ તેમને સભાગૃહમાં પ્રવેશ આપ્યો હતો.

જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભે વંદે માતરમ ગાન બાદ તુરંત પ્રશ્નકાળ શરૂ થયો હતો અને તેમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર મંજુબેન કુંગશિયાનો પ્રશ્ન ચર્ચામાં લેવાયો હતો જેમાં તેમણે આરોગ્ય શાખા અને મેલેરીયા શાખાએ કરેલી કામગીરીની વિસ્તૃત વિગતો માંગી હતી. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હોય પ્રશ્નનો જવાબ તેમના બદલે ડેપ્યુટી કમિશનર આપશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીએ પ્રશ્નોત્તરીનો દોર સંભાળ્યો હતો અને સતત ૫૦ મિનિટ સુધી આરોગ્ય શાખા અને મેલેરિયા શાખા એ આજી નદી કાંઠાના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ તેમજ મચ્છરજન્ય રોગચાળો નાથવા માટે શું શું કામગીરી કરી કઈ રીતે કઈ પ્રકારના કેટલા મચ્છર માર્યા અને તે મચ્છર મારવા માટે કઈ મશીનરીનો ઉપયોગ કરાયો તેની વિસ્તૃત વિગતો આપી હતી. મચ્છરના મોતની ચર્ચામાં જ પ્રશ્ન કાળ પૂર્ણ થયો હતો. અંતિમ પાંચ મિનિટમાં દરખાસ્તો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. શાસકોએ અવકાશમાંથી પરત ફરેલા મૂળ ભારતીય એવા સુનિતા વિલિયમ્સની સિદ્ધિને બિરદાવવા માટે અભિનંદન ઠરાવ પસાર કર્યો હતો પરંતુ એટલાન્ટિસ અગ્નિકાંડના ત્રણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શોક ઠરાવ કરવાનું ચૂકી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application