જેતપુરમાં મહિલા પોલીસના આપઘાત મામલે જરૂર પડયે અન્ય એજન્સીને તપાસ સોંપાશે

  • September 12, 2023 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે આપઘાત કર્યાનું તેણીના પિતાના નિવેદન બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ડીવાયએસપી સાથે બેઠક કરી તટસ્થ તપાસ માટે સૂચના આપી હતી. અને જરૂર પડી તો પોલીસની અન્ય એજન્સીને તપાસ આપવાનું જણાવ્યું હતું. 
​​​​​​​
જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી દયાબેન શંભુભાઈ સરીયા નામની મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેણીના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે મહિલા કોન્સ્ટેબલના પિતા શંભુભાઈએ જણાવેલ કે, બનાવના દિવસે પોલીસમાંથી અમને ફોન આવેલ કે તમારી દીકરીનું બીપી લો થઈ ગયું છે જેતપુર આવો અને તેની મમ્મીને સાથે ન લાવતાં આપઘાતની વાત પણ અમારાથી પોલીસે છુપાવી. અને પોલીસે આવા ગંભીર બનાવમાં પોલીસ કાર્યવાહી, પીએમ વગેરે તરત જ આટોપી લીધું જે પોલીસની તપાસ બાબતે શંકા પ્રેરે છે. અને થોડા દિવસ પૂર્વે દયાબેનને બસ સ્ટેન્ડમાં જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો થતા તેણીએ ૧૦૦ નંબર પર કોલ કરી પોલીસ બોલાવેલ હતી. અને તેણીને ત્રણ પોલીસ કોન્સ્ટેબલનો એટલો ત્રાસ હતો કે ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. અને તેણીએ આપઘાત કરતા પૂર્વે કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચૂંદડીનો ગાળિયો બનાવ્યો હતો તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહી છે તેની આ કોન્સ્ટેબલને જાણ કરી હતી.  જ્યારે મૃતક દયાબેનના મામા મનસુખભાઇ ઝાલાએ જણાવેલ કે, તેઓએ પરીવાર અને જ્ઞાતિ આગેવાનો સાથે એસપી તેમજ જેતપુર પોલીસને ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે દયાબેને આપઘાત કર્યો હોવાનું આવેદનપત્ર આપેલ છે. તેમજ દયાબેન કોળી જ્ઞાતિના હોય અને જસદણના શિવરાજપુર ગામના વતની હોવાથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જેતપુર આવેલ હતાં. અને તેઓએ ડીવાયએસપી રોહિત ડોડીયા તેમજ સીટી પીઆઇ અજીતસિંહ હેરમા સાથે જેતપુર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો દયાબેનના પિતાની હાજરીમાં એક બેઠક યોજી હતી. આ અંગે કેબિનેટ મંત્રીએ જણાવેલ કે, આપઘાતના બનાવમાં કોઈ દોષિતોને છોડવામાં નહિ આવે અને જો તપાસનીશ પોલીસની તપાસ યોગ્ય નહીં લાગે તો બે ત્રણ દિવસમાં પોલીસની અન્ય એજન્સી પાસે તપાસ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application