રાજકોટમાં પ્રિન્સીપાલે 4 વિદ્યાર્થિનીઓને કાર્ય અડપલા

  • March 22, 2024 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં શિક્ષણ જગત માટે લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના હરિધવા માર્ગ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાએ ભાન ભૂલી અહીં શાળામાં અભ્યાસ કરતી 11 થી 14 વર્ષની ચાર વિદ્યાર્થીનીઓને અલગ- અલગ સમયે પોતાની ઓફિસમાં બોલાવી બાદમાં દરવાજો બંધ કરી દઈ અડપલાં કરી બથમાં ભરી લઈ જાતીય સતામણી કરી હતી. આ બાબતે છાત્રાઓએ પોતાના વાલીને વાત કરતા વાલીઓ ચોંકી ઉઠ્યા હતા અને પ્રથમ શાળાએ બાદમાં પોલીસ સ્ટેશનને પહોંચી નરાધમ પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આરોપી સામે જાતીય સતામણી,પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ધૃણાસ્પદ આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના હરીધવા માર્ગ પર આવેલી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ રાકેશ વશરામભાઈ સોરઠીયા(ઉ.વ 35) વિરુદ્ધ અહીં શાળામાં અભ્યાસ કરનાર 14 વર્ષની વિદ્યાર્થીનીની માતા દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 354 (ક) અને પોકસો એકટની કલમ 8 અને 10 મુજબ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદમાં જણાવવામાં આવેલી હકીકત મુજબ, શાળાના પ્રિન્સિપાલ રાકેશ વશરામભાઈ સોરઠીયાએ અલગ-અલગ સમયે અહીં શાળામાં અભ્યાસ કરનાર ફરિયાદીની 14 વર્ષની દીકરી તથા અન્ય એક 14 વર્ષની દીકરી તથા અન્ય બે 11 વર્ષની વિદ્યાર્થીનીઓને અલગ-અલગ સમયે પોતાની ઓફિસમાં બોલાવી હતી. બાદમાં પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાણી ઓફિસનો દરવાજો બંધ કરી દીકરીનો હાથ પકડી શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી હતી.

શાળાના પ્રિન્સિપાલ દ્વારા થઈ રહેલી આ જાતીય સતામણીથી વિદ્યાર્થીની હેબતાઈ ગઈ હતી બાદમાં તેમણે આ બાબતે પોતાના વાલીઓને જાણ કરતા દીકરીની આપવીતી જાણી વાલીઓ પણ ચોંકી ઉઠ્યા હતા જેથી તુરંત શાળાએ પહોંચી ગયા હતા.  બાદમાં માલૂમ પડ્યું હતું કે રંગીન મિજાજી આ પ્રિન્સિપાલે માત્ર એક છાત્રાને જ નહીં આ રીતે ચાર છાત્રા સાથે જાતીય સતામણી કરી હોય જેથી વાલીઓ ભેગા થઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અહીં પહોંચી તેમણે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ સરવૈયા અને રાઇટર નિલેશભાઈ મકવાણાએ આ બાબતે તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી કરનાર પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા(ઉ.વ 35) પરિણીત હોવાનું અને તેને બે સંતાન પણ હોવાનું જાણવા મળ્યું છે.


રાકેશ સોરઠીયા આમ આદમી પાર્ટીમાં પ્રભારી
સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં સગીરવયની ચાર છાત્રાઓ સાથે શારીરિક અડપલાં કરનાર શાળાના પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસની પૂછતાછમાં એવી હકીકત સામે આવી હતી કે, આરોપી રાકેશ રાજકોટ શહેર આમ આદમી પાર્ટીમાં પ્રભારીનો હોદો ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application