ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે થશે ચૂંટણી: બિરલા સામે સુરેશ

  • June 25, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે. સુરેશને ઇન્ડિયા ગઠબંધનમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે લોકસભા સ્પીકર પદ માટે આવતીકાલે સવારે 11 વાગ્યે મતદાન થશે.
આજે 18મી લોકસભાના પ્રથમ સત્રના બીજો દિવસે પણ શપથ ગ્રહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી એનડીએ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી.

આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેને રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે તમે અમારા સ્પીકરને સમર્થન આપો. પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું  હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને કોલ પરત કરશે. પરંતુ તેણે રીટર્ન કોલ કર્યો ન હતો. તેમણે કહ્યું પીએમ મોદી કહી રહ્યા છે કે સહકાર હોવો જોઈએ. પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સરકારનો ઈરાદો સ્પષ્ટ નથી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે રાજનાથ સિંહે ખડગે સાથે વાત કરી ત્યારે સરકાર તરફથી કોઈ નામ સામે આવ્યું ન હતું.બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષ સ્પીકર પદને સમર્થન આપવા તૈયાર છે. પરંતુ અમારી માંગ સ્પષ્ટ છે કે અમને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી.

અમારી સલાહ લેવામાં આવી નથી: ટીએમસી
કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન વતી સ્પીકર પદ માટે કે. સુરેશના નામની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ આ અંગે ઈન્ડિયા ગઠબંધનમાં સર્વસંમતિ હોય તેમ લાગતું નથી. આ અંગે તૃણમૂલનું કહેવું છે કે લોકસભા સ્પીકર પદ માટે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને મેદાનમાં ઉતારવા અંગે તૃણમૂલની કોઈ સલાહ લેવામાં આવી નથી.


લોકસભામાં નંબર ગેમ શું છે?
લોકસભામાં નંબર ગેમની વાત કરવમાં આવે તો 2014 અને 2019ની સરખામણીમાં આ વખતે રસપ્રદ મુકાબલો છે. એનડીએની આગેવાની કરી રહેલી ભાજપ્ને આ વર્ષે બહુમત મળી નથી. જો કે 240 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. લોકસભામાં એનડીએનું સંખ્યાબળ 293 છે. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ 99 બેઠકો જીતી હતી. જો કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દેતા હવે તેનું સંખ્યાબળ 98 થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતૃત્વવાળી ઈન્ડિયા ગઠબંધન પાસે 233 સાંસદો છે. આ ઉપરાંત સાત અપક્ષ સહિત અન્ય 16 લોકો પણ ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહોંચ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application