કાલથી જામનગર સહિત હાલારમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ

  • August 16, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભીડભંજન, સિદ્ધનાથ, કનકેશ્ર્વર, કાશિવિશ્ર્વનાથ, દ્વારકાના નાગેશ્ર્વર સહિતના શિવાલયોને અપાયો અનેરો શણગાર: સવારના પાંચ વાગ્યાથી ભગવાન શિવને નમન કરવા શિવભકતો મંદિરમાં જશે: ઠેર-ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

સમગ્ર હાલારમાં ભગવાન શિવને પ્રિય એવો શ્રાવણ માસ શરુ થઈ રહ્યો છે, છેલ્લા બે દિવસથી શહેરના મુખ્ય ભીડભંજન મંદિરને કલરકામ કરીને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ઉપરાંત સિદ્ધનાથ, કાશિવિશ્ર્વનાથ, દ્વારકાના નાગેશ્ર્વર, બાદનપરના કનકેશ્ર્વર, ધ્રોલ નજીક સોયલેશ્ર્વર, ખીમરાણાના ખિમેશ્ર્વર અને ભવનાથ, કાલાવડના કલ્યાણેશ્ર્વર અને કુંભેશ્ર્વર અને જામનગરના અનેક શિવ મંદિરોને વિશિષ્ટ શણગાર આપવામાં આવી રહ્યો છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ શરુ થાય છે ત્યારે શિવભકતો શિવ મંદિરોમાં બમ-બમ ભોલે અને ૐ નમ: શિવાયના જાપ જાપ શરુ કરશે. શહેરના અનેક મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે અને આવતીકાલથી સમગ્ર હાલાર શિવમયી બનશે.
દર વખતે શ્રાવણ મહિનામાં હાલારના શિવ મંદિરોને અનેરો ઑપ આપવામાં આવે છે અને એક કહેવાત છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટલાં શિવ મંદિરો છે એટલાં શિવ મંદિરો અન્ય જિલ્લામાં નથી. ચાર ધામ પૈકીના દ્વારકામાં ૧ર જ્યોતિર્લિંગ પૈકી નાગેશ્ર્વર મહાદેવ જ્યોતિર્લિંગ આવેલું છે અને દરિયાકાંઠે ભડકેશ્ર્વર મહાદેવ પણ બિરાજમાન છે. ખંભાળિયામાં રામનાથ અને ખામનાથ, કાલાવડમાં કલ્યાણેશ્ર્વર, કુંભનાથ અને ઢીંગેશ્ર્વર, સોયલમાં સોયલેશ્ર્વર, બાદનપરમાં કનકેશ્ર્વર, ખીમરાણામાં ભવનાથ અને ખિમેશ્ર્વર, પડાણામાં પ્રગટેશ્ર્વર, લાલપુર નજીક ભોળેશ્ર્વર, ભાણવડ નજીક ઈન્દ્રેશ્ર્વર, કિલેશ્ર્વર અને બિલેશ્ર્વર, ભૂતનાથ, સુખનાથ જેવા મંદિરો આવેલા છે.
જામનગરની વાત લઈએ તો જૂના જમાનાનું બેડેશ્ર્વર, સિદ્ધનાથ, નાગેશ્ર્વર, ભીડભંજન, ચાર દ્વારેથી દર્શન થતાં હોય તેવું કાશિવિશ્ર્વનાથ, નર્મદેશ્ર્વર, રામેશ્ર્વર, પ્રતાપેશ્ર્વર, જંલગેશ્ર્વર, કૂબેરેશ્ર્વર, ગૌરી શંકર, ઈચ્છેશ્ર્વર, ગંગેશ્ર્વર, હજારેશ્ર્વર, વૈજનાથ, ભૂતનાથ, સુખનાથ, નિલકંઠ મહાદેવ, નાગનાથ, તારકેશ્ર્વર, બદ્રી કેદારનાથ સહિતના શિવ મંદિરોમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવશે.
આ ઉપરાંત ૧૦૮ બિલીપત્ર અર્પણ, રુદ્રાભિષેક, કથા, લઘુરુદ્રી, મહાઆરતી, મંડળ, મંદિરને શણગાર સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર સોમવારે ભગવાન શિવનો અનેરો શણગાર કરવામાં આવશે. વિવિધ શણગારથી ભગવાનના અલૌકિક રુપના દર્શન થશે.
જામનગર અને હાલારના કેટલાંક શિવ મંદિરોનો મહિમા પણ અલગ-અલગ છે. શિવની આરાધના કરવી એ ખૂબ જ મહત્વનું ગણાય છે. આ માસમાં કેટલાંક ઉપવાસ-એકટાણાં કરે છે, અમુક શિવભકતો આખો મહિનો માત્ર દૂધ પી ને ભગવાનની આરાધના કરે છે. કેટલાંક મંદિરોમાં અલગ-અલગ પ્રકારની વિવિધ આરતીઓથી ભગવાનના દર્શન પણ કરાવાય છે.
કાશિવિશ્ર્વનાથ મંદિરની આરતી એકથી દોઢ કલાક ચાલે છે, આ મંદિર ભારતમાં બીજુ એવું મંદિર છે કે જેના દર્શન ચારે’ય દિશાથી કરી શકાય છે એટલે આ મંદિરનો મહિલા અપરમંપાર છે. દ્વારકામાં પણ નાગેશ્ર્વર મંદિરમાં મહિના દરમિયાન ભકતો ભગવાનને માથું ટેકવવા આવે છે અને હર-હર મહાદેવનો નાદ લગાવે છે.
આવતીકાલથી શિવભકતો ભગવાન શિવના ધ્યાનમાં લિન થશે, ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો થશે અને સવારેના પ વાગ્યાથી રાત્રિના ૧ર વાગ્યા સુધી ભગવાન શિવની આરાધના લોકો તલ્લીન બની જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application