આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

  • September 17, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેજરીવાલના આવાસ પર યોજાયેલી પીએસીની બેઠકમાં લેવાયો નિર્ણય: અરવિંદ કેજરીવાલ એલજીને મળી આપશે રાજીનામું: દિલ્હીને કેટલાક નવા મંત્રીઓ પણ મળી શકે: મંત્રીઓના પોર્ટફોલિયોમાં પણ ફેરફાર શક્ય

અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી, ત્યારથી જ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, હવે આ અટકળોનો અંત આવ્યો છે. દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. પૂર્વ મુખ્યમંત્રીએ બે દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રીનું પદ છોડી દેશે અને કોઈ અન્ય આમ આદમી પાર્ટીના નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે.

દિલ્હીને નવા મુખ્યમંત્રી સાથે કેટલાક નવા મંત્રીઓ પણ મળી શકે છે. સૂત્રોનું માનીએ તો દિલ્હીની આખી કેબિનેટમાં ફેરફાર થવાનો છે. મંત્રીઓના પોર્ટફોલિયોમાં પણ ફેરફાર શક્ય છે. આવી સ્થિતિમાં નવા ધારાસભ્યોને કેબિનેટમાં તક આપવામાં આવી શકે છે.

અરવિંદ કેજરીવાલે ગત 15 સપ્ટેમ્બરના દિવસે 48 કલાક બાદ મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ દિલ્હીના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી કે, હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પૉલિટિકલ અફેર્સ કમિટી (પીએસી) ની બેઠક બોલાવવામાં આવી હતી.

આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ હતી. બેઠક પહેલાં આપના સિનિયર નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતાં. કેજરીવાલના આવાસ પર યોજાયેલી પીએસીની આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય શર્મા, દુર્ગેશ પાઠક, આતિશી, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાઘવ ચઢ્ઢા, રાખી બિડલાન, પંકજ ગુપ્તા અને એનડી ગુપ્તા હાજર રહ્યાં હતાં.

તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર કે  પ્રામાણિક, એ પ્રજાને નક્કી કરવા દઈશું. હવે દિલ્હીના સીએમની શક્ય એટલી ઝડપથી પસંદગી કરી લો. જ્યાં સુધી લોકો ફેંસલો ના કરે કે, કેજરીવાલ પ્રામાણિક છે કે નહીં, ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application