કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર મનપાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક

  • June 03, 2023 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અત્યારે રૂ. ૪૨૩ કરોડના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે-મંત્રી: જામનગરની ઐતિહાસિક ઈમારતોના મહત્વને ધ્યાનમાં લેતા જામનગરને હેરિટેજ સીટી તરીકે જાહેર કરવાના સંપૂર્ણ પ્રયાસો હાથ ધરાયા છે: પ્રવાસન મંત્રી

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં જામનગર મહાનગર પાલિકાના સભાખંડમાં જામનગર મનપા અને જામનગર શહેરી વિકાસ સતા મંડળ (જાડા)ના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ જામનગર મનપાના અધિકારીઓ પાસેથી જામનગર શહેરમાં હાથ ધરવામાં આવેલા કામો અને પૂર્ણ થયેલા કામો અંગેની વિગતો મેળવી હતી તેમજ બાકી રહેલા કામો ત્વરિત રીતે પૂર્ણ થાય તે દિશામાં સુચારુ કામગીરી કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
આ ક્ષણે મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગરમાં અત્યારે અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન ફ્લાય ઓવર બ્રિજ, ભુજીયા કોઠાનું નવનિર્માણ, ટાઉનહોલમાં રિસ્ટોરેશન, લાલપુર બાયપાસ પર ફોરલેન ફ્લાય ઓવર બ્રિજ, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે રેલવે ઓવર બ્રિજ, ગ્રેઈન માર્કેટના ત્રણ દરવાજાનું રીનોવેશન, પ્રિ- મોન્સૂન કામગીરી તેમજ અન્ય કાર્યો અત્યારે પ્રગતિ હેઠળ છે. આગામી તા. ૫ જૂનના રોજ ’વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી અંતર્ગત નગરજનોને વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે.
મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, ગૌરવ પથ પર મહારાણા પ્રતાપની પ્રતિમા, એમ્યુઝમેન્ટ પાર્કમાં મેમોરિયલ હોલ, વ્હોરાના હજીરા પાસે રિવર બ્રિજ, જામ રણજીતસિંહ પાર્કનું રીનોવેશનના વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. જામનગરમાં અત્યારે રૂ. ૪૨૩ કરોડના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તેમજ શરુ સેક્શન રોડ પર ૨૮૮ જેટલા આવાસોનું તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું છે.
બેડી વિસ્તારના રૈન બસેરામાં લાભાર્થીઓને ભોજન, શિક્ષણ, આરોગ્ય તપાસણી અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે. આઈ.સી.ડી.એસ. વિભાગ અને જામનગર મનપા દ્વારા નજીકના સમયમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યમાં સૌપ્રથમ વાર જામનગરમાં ’વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ’ ની સ્થાપના અને ઉપયોગ કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નં. ૬,૧૧ અને ૧૬ માં મનપા દ્વારા હોસ્પિટલ અને રણમલ તળાવના ગેટ નં. ૫ પાસે સાયન્સ મ્યુઝીયમનું નિર્માણ કરવામાં આવશે.
બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બી. એન. જાની, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, વિમલભાઈ કગથરા, જિલ્લા આયોજન મંડળના સભ્યશ્રીઓ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application