વાનખેડે ખાતે ટીમ ઈન્ડિયાની ભવ્ય ઉજવણી, કોહલી-રોહિતનું ભાવુક સ્પીચ; જાણો વિજય પરેડમાં શું થયું?

  • July 04, 2024 11:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુરુવારે સાંજે મુંબઈમાં ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી ટીમ બસમાં બેસીને મરીન ડ્રાઈવ પહોંચી, જ્યાં વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમના સ્વાગત માટે હજારોની ભીડ પહેલેથી જ હાજર હતી. નરીમાન પોઈન્ટથી તમામ ભારતીય ખેલાડીઓ ખુલ્લી બસમાં બેસીને વિજય પરેડની શરૂઆત કરી હતી અને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. 


આ દરમિયાન વિરાટ કોહલીએ ભારતની ઐતિહાસિક જીતનો ઘણો શ્રેય જસપ્રિત બુમરાહને આપ્યો હતો. બીજી તરફ રોહિત શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને યાદગાર ગણાવી હતી. બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો જે બાદ આ આખો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.


કોણે શું કહ્યું?


રોહિત શર્મા:

આ ટ્રોફી અમારા માટે નથી પરંતુ તમામ દેશવાસીઓ માટે છે. સવારે પીએમ મોદીને મળીને ખૂબ જ સન્માનની વાત છે અને તેમનામાં રમતગમત પ્રત્યે ઘણો ઉત્સાહ છે. જ્યારે ડેવિડ મિલરે હાર્દિક પંડ્યાના બોલ પર શોટ લગાવ્યો ત્યારે મને લાગ્યું કે તે હવાના કારણે સિક્સ જતી રહેશે. પરંતુ આ બધું નસીબમાં લખાયેલું હતું. અંતમાં સૂર્યકુમાર યાદવનો કેચ અકલ્પનીય હતો. મને આ આખી ટીમ પર ગર્વ છે.


વિરાટ કોહલી:

રોહિત શર્મા અને હું ઘણા લાંબા સમયથી આ સિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમારું સપનું હંમેશા વર્લ્ડ કપ જીતવાનું હતું. અમે છેલ્લા 15 વર્ષથી સાથે રમી રહ્યા છીએ અને કદાચ આ પહેલીવાર છે જ્યારે મેં રોહિતને આટલો ભાવુક થતા જોયો છે. તે રડતો હતો, હું રડતો હતો, અમે બંને એકબીજાને ગળે લગાડ્યા અને આ દિવસ અમે ક્યારેય ભૂલીશું નહીં. જસપ્રીત બુમરાહ જેવો બોલર રોજ જન્મતો નથી અને તે દુનિયાની આઠમી અજાયબી છે.


રાહુલ દ્રવિડ:

હું લોકોના આ પ્રેમને ખૂબ જ મિસ કરીશ. આજે મેં રોડ પર જે દૃશ્ય જોયું તે હું ક્યારેય ભૂલીશ નહીં.


જસપ્રિત બુમરાહ: 

આજે મેં જે પણ જોયું, મેં આ પહેલાં આવું કંઈ જોયું નથી. મારી અત્યારે નિવૃત્તિ લેવાની કોઈ ઈચ્છા નથી. મારી નિવૃત્તિ હજુ દૂર છે, આ તો માત્ર શરૂઆત છે.


સવારે જ બાર્બાડોસથી દિલ્હી પહોંચ્યા

તમને જણાવી દઈએ કે 'બેરિલ' નામના ચક્રવાતી તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ઘણા દિવસોથી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ અને સમગ્ર સ્ટાફ માટે ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. 16 કલાકની મુસાફરી બાદ આખરે ભારતીય ટીમ ગુરુવારે સવારે દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતરી હતી. ત્યારપછી ટીમને મૌર્ય હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગયા હતા અને તેમની સાથે નાસ્તો કર્યો હતો. પીએમ મોદી સાથે તમામ ખેલાડીઓનું ફોટોશૂટ પણ કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application