મેયરના લોક દરબારમાં ૧૫૪૭ પ્રશ્ન રજૂ, ૭૯૧ અણઉકેલ

  • August 16, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૧ થી ૧૮માં મેયર તમારા દ્રારે લોક દરબાર યોજાયો હતો જેમાં કુલ ૧૫૪૭ પ્રશ્નો રજુ થયા હતા તેમાં રાજકોટ મહાનગરપાલિકાને લગતા કુલ ૭૫૬ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. યારે અન્ય ૭૨૮ પ્રશ્નો તેમજ અન્ય વિવિધ સરકારી વિભાગોના કુલ ૬૩ મળી ૭૯૧ લોક પ્રશ્નો આજે પણ અણઉકેલ રહ્યા છે. પેન્ડિંગ રહેલ પ્રશ્નો તેમજ ફરિયાદો અને રજૂઆતોનું સતત ફોલોઅપ કરી ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવશે તેવું શાસકોએ જાહેર કયુ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મેયરના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયર તમારા દ્રારે લોક દરબારનું તા.૨૨–૭–૨૦૨૪ થી તા.૧૩–૮–૨૦૨૪ દરમ્યાન વોર્ડવાઇઝ સવારે ૯ થી ૧૧ સુધી આયોજન કરવામાં આવ્યુ હતું. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થયેલ રજુઆતો, પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ ઉપર અથવા તો ટૂંક સમયમાં હકારાત્મક નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો દાવો શાસકો અને તંત્રવાહકો દ્રારા કરાયો છે

વોર્ડ નં.૧૭ અને ૧૮ના મહત્તમ પ્રશ્નો પેન્ડિંગ
લોક દરબારમાં વોર્ડ નં.૧ થી ૧૮માં કુલ પેન્ડીંગ રહેલા પ્રશ્નો ૭૯૧ છે. જે પૈકી ૬૩ પ્રશ્નો રાજકોટ મહાપાલિકા સિવાયના અન્ય વિભાગો જેવા કે, પીજીવીસીએલ, કલેકટર કચેરી, નેશનલ હાઇવે, ડા, શહેર પોલીસને લગત હોઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સંબંધિત વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે તેમજ પેન્ડીંગ રહેલા ૭૨૮ પ્રશ્નોમાં મુખ્યત્વે ગત તા.૧૨ અને તા.૧૩મી ઓગષ્ટ્રના રોજ યોજાયેલ વોર્ડ નં.૧૭ અને ૧૮ના લોક દરબારના મહત્તમ પ્રશ્નો છે તે ઉપરાંત ડામર રોડ કરવા, મેટલીંગ રોડ કરવા, પેવીંગ બ્લોક નાખવા, રીપેર કરવા, વરસાદી પાણી ભરાવા, ડ્રેનેજ લાઈન નવી નાખવા, નવી આંગણવાડી બનાવવી, નવા ગાર્ડન બનાવવા, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરીની સુવિધા આપવા, નવા બસ સ્ટોપ બનાવવા વગેરે સંબંધી હોઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તે રજુઆતો પરત્વે એસ્ટીમેટ બનાવવાની વહીવટી પ્રક્રિયા હેઠળ છે. જે અંગે તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવનાર છે તેમજ અમુક પ્રશ્નો ટી.પી.સ્કીમ લગત હોય, નીતિવિષયક નિર્ણય થયે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે

પ્રશ્નો ઉકેલાય તે જોવાની જવાબદારી આમની

મેયરશ્રી તમારા દ્રારે લોક દરબારનો વોર્ડ વાઇઝ બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ મેળવ્યો હતો. દરમિયાન રજૂ થયેલા પ્રશ્નો ઉકેલાય તે જોવાની જવાબદારી તમામ વોર્ડના લોકદરબારમાં જેમણે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કયુ હતું તેવા મહાનુભાવો જેમાં મેયર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, લગત વિધાનસભાના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, લગત વોર્ડના કોર્પેારેટરો, લગત ઝોનના નાયબ કમિશનર, સિટી એન્જીનીયર, આસી. કમિશનર, પર્યાવરણ ઇજનેર, આરોગ્ય અધિકારી, આર.સી.એચ.ઓ., લગત વોર્ડના વોર્ડ એન્જીનીયર, નાયબ પર્યાવરણ ઇજનેર, દબાણ હટાવ અધિકારી, એ.ટી.પી., રોશની વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, વોર્ડ ઓફિસર, ગાર્ડન સુપરવાઇઝર, સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની છે. હવે આ તમામ મહાનુભાવો સાથે મળી કેટલા પ્રશ્નો ઉકેલી શકે છે તે જોવું રહ્યું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application