અમરેલીમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર પરિમલ નથવાણીની ગંભીર ચિંતા
સિંહપ્રેમીઓને સાવચેતી રાખવા તાકીદ અને ગેરકાયદેસર લાયન શો સામે કડક પગલાંની અપીલ
અમરેલી નજીક રેવન્યુ વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક અત્યંત દુ:ખદ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું છે કે, સિંહ-સિંહણના મેટિંગ અથવા ફીડિંગના સમયે માનવ હસ્તક્ષેપ કે પજવણીના કારણે જ આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બનતી હોય છે. આના કારણે સિંહ બદનામ થાય છે. મૃતક યુવાન પ્રત્યે સંવેદના પ્રગટ કરતા તેમણે આ ઘટનાને સિંહના સંરક્ષણ માટે ચિંતાજનક ગણાવી છે. તેમણે વન વિભાગનો બચાવ કરતા સ્પષ્ટ કર્યું કે મુશ્કેલી નેશનલ પાર્કમાં નહીં, પણ રેવન્યુ વિસ્તારોમાં છે, જ્યાં વન વિભાગ દરેક જગ્યાએ પહોંચી ન શકે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સિંહનું મેટિંગ પાંચ દિવસ સુધી લગાતાર આ ચાલતું હોય છે... ત્યાં ઊભા રહી અને એને મસ્તી કરવી કે એને ડિસ્ટર્બ કરવાથી આવા દુર્ભાગ્યપૂર્ણ બની શકે છે. તમામ સિંહપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. ખાસ કરીને જ્યારે સિંહ મેટિંગ પિરિયડમાં હોય કે સિંહણ પોતાના બચ્ચાઓ સાથે ફીડિંગ કરતી હોય, ત્યારે નજીક જવાનું કે કોઈપણ પ્રકારનો ચાળો કરવાનું જોખમ ક્યારેય ન લેવું જોઈએ.
પરિમલ નથવાણીએ ગ્રામ્ય વિસ્તારોમાં થતા ગેરકાયદેસર લાયન શો અને સિંહની રંજાડ સામે કડક શબ્દોમાં તાકીદ કરી છે. તેમણે સરકારને પણ આ બાબતે ગંભીરતાથી વિચારીને કડક કાનૂની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.