જામનગર: મોટાવડીયા ગામમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવતર ટુકાવ્યું
વાલસુરા કવાર્ટરમાં શ્ર્વાસની તકલીફથી વૃઘ્ધનો ભોગ લેવાયો : ઇન્દીરા સોસાયટીમાં પ્રૌઢનું મૃત્યુ
જામજોધપુરના મોટા વડીયામાં એક યુવાને જીવાદોરી ટુંકાવી લીધી છે અને નવાગામ ઘેડ તથા વાલસુરા કવાર્ટર વિસ્તારમાં બે વૃઘ્ધના મૃત્યુ નિપજયાના બનાવ પોલીસ ચોપડે જાહેર થયા છે.
જામજોધપુરના મોટા વડીયા ગામમાં રહેતા હેમત સીદાભાઇ કરંગીયા (ઉ.વ.૩૨) નામના યુવાને તા. ૨૬ના રોજ પોતાના મકાને હિંડોળાના હુંકમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે સીદા સામતભાઇ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી, કોઇ અગમ્ય કારણસર યુવાને પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે આથી પોલીસે ચોકકસ કારણ જાણવા તપાસ લંબાવી છે.
બીજા બનાવમાં જામનગરના નવાગામ ઘેડ ઇન્દીરા સોસાયટી શેરી નં. ૭-બીમાં રહેતા વિનુભાઇ વશરામભાઇ ટંકારીયા (ઉ.વ.૬૩) નામના વૃઘ્ધ એકલા રહેતા હોય અને કોઇપણ બિમારી સબબ કંટાળી જઇ પગલુ ભરી લેતા મૃત્યુ નિપજયુ હતું, હાપા ઇસ્કોન મંદિર સામે રહેતા રવિ મનસુખભાઇ ટંકારીયાએ સીટી-બી ડીવીઝનમાં જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્રીજા બનાવમાં જામનગરના વાલસુરા પી.કે. માર્ગ સરવટ કવાર્ટર બિલ્ડીંગ નં. પી ખાતે રહેતા નિવૃત કાનજીભાઇ રામજીભાઇ બેરડીયાને પાંચેક વર્ષથી ચામડીની બિમારી હોય જેની દવા ચાલુ હતી મુળ કોડીનારના વિરાટનગરના વૃઘ્ધ છેલ્લા એકાદ અઠવાડીયાથી અહીં જામનગર પોતાના પુત્રને ત્યાં આવ્યા હતા, ખાટલામાંથી ઉભા થવા જતા પડી ગયા હતા અને સુતા હોય ત્યારે શ્ર્વાસ લેવામાં તકલીફ થતા એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે જી.જી. હોસ્પીટલ લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું. આ અંગે નરેન્દ્રભાઇ બેરડીયા દ્વારા બેડી મરીન પોલીસમાં જાણ કરવામાં આવી હતી.