જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી: પ્રચાર સમાપ્ત થતાં જ એસ્ટેટ શાખા સક્રિય બની; ચુટણી બેનરો-સામગ્રી દૂર કરવા કાર્યવાહી
જુદી જુદી ૫ ટીમો, ૪૦ કર્મચારીઓ અને ૫ વાહનો સાથે શહેરભરમાં અભિયાન, જપ્ત સામગ્રી મહાનગરપાલિકા કચેરીમાં સંગ્રહિત
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને આજે સાંજે પાંચ વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર પૂર્ણ થતા જ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમો તાત્કાલિક સક્રિય બની ગઈ છે. ચૂંટણી આચારસંહિતા મુજબ જાહેર સ્થળોએ લગાવવામાં આવેલી પ્રચાર સામગ્રી દૂર કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ કુલ અંદાજે ૪૦ કર્મચારીઓની પાંચ અલગ-અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે, અને દરેક ટીમને એક-એક વાહન ફાળવવામાં આવ્યું છે. આ ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ચૂંટણી પ્રચાર માટે લગાવવામાં આવેલા બેનરો, હોર્ડિંગ્સ, પોસ્ટરો તેમજ અન્ય જાહેરાત સામગ્રી દૂર કરવાની કામગીરી કરી રહી છે.
ખાસ કરીને જ્યાં ગેરકાયદેસર રીતે સાઇનબોર્ડ, બેનર અથવા કિઓસ્ક જેવી પ્રચાર સામગ્રી જોવા મળી રહી હોય, ત્યાં તેને ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત, આ કામગીરી દરમિયાન જપ્ત કરાયેલ તમામ પ્રચાર સામગ્રીને મહાનગરપાલિકાની કચેરી ખાતે લાવવામાં આવી રહી છે, અને નિયમ મુજબ જપ્ત કરીને સંગ્રહિત કરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના અધિકારી અનવર ગજ્જણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ શહેરમાં ચૂંટણી ની આચાર સંહિતા જળવાઈ રહે તે માટે આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.