મિલિટરી નર્સિંગ સર્વિસના નિવૃત્ત અધિકારીઓને હવે મળશે પૂર્વ સૈનિકનો દરજ્જો: રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવૃત્ત ખગજ અધિકારીઓને પૂર્વ સૈનિક તરીકેના ઓળખપત્ર મેળવી લેવા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી દ્વારા અનુરોધ
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળના પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગના તાજેતરના ગેઝેટ નોટિફિકેશન અને નવા દિશાનિર્દેશો અનુસાર, મિલિટરી નર્સિંગ સર્વિસના સેવા નિવૃત્ત અધિકારીઓને હવે પૂર્વ સૈનિક તરીકેની પાત્રતા એનાયત કરવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય સાથે હવે નિવૃત્ત ખગજ અધિકારીઓ પણ અન્ય પૂર્વ સૈનિકોની જેમ જ વિવિધ સરકારી યોજનાઓ અને લાભો મેળવવા માટે હકદાર બન્યા છે.
આ અંગે જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર, મિલિટરી નર્સિંગ સર્વિસમાંથી સન્માનપૂર્વક નિવૃત્ત થયેલા તમામ અધિકારીઓ પૂર્વ સૈનિક તરીકેનું સત્તાવાર ઓળખપત્ર મેળવવા માટે પાત્ર છે. આ ઓળખપત્ર પ્રાપ્ત કર્યા બાદ નિવૃત્ત અધિકારીઓ પૂર્વ સૈનિકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, અનામત સુવિધાઓ તથા અન્ય સરકારી લાભો મેળવી શકશે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ નિવૃત્ત ખગજ અધિકારીઓને આથી જણાવવામાં આવે છે કે, તેઓએ જરૂરી દસ્તાવેજો સાથે પોતાની નજીકની જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરીનો વહેલી તકે સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી લેવું. રજીસ્ટ્રેશન અને ઓળખપત્ર સંબંધિત વધુ માહિતી માટે કચેરીના કામકાજના દિવસો દરમિયાન રૂબરૂ સંપર્ક સાધવા જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી દ્વારા જણાવાયું છે.