ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સર્વાઇકલ કેન્સર સામેની દેશવ્યાપી ચળવળનો આજથી જામનગર શહેરમાં થયો પ્રારંભ
નીલકંઠનગર અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC)ખાતે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી પ્રારંભ કરાવ્યો
મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરના વધતા જતાં કેસીસને ધ્યાનમાં રાખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશભરના વિશેષ ઝુંબેશ ચલાવવા માટેનું આહવાન કર્યું છે, જેના ભાગરૂપે સરકારે એક ઐતિહાસિક સ્વાસ્થ્ય પહેલની તમામ તૈયારી કરી લીધી છે. સરકાર દ્વારા આજથી દેશભરમાં છોકરીઓ માટે હ્યુમન પૈપિલોમા વાયરસ (એચ.પી.વી.) વેક્સિનેશનનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂં કરવામાં આવ્યું છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સર્વાઇકલ કેન્સરને મૂળમાંથી ખતમ કરવાનો છે, કે જે ભારતમાં મહિલાઓને થતું બીજું સૌથી સામાન્ય કેન્સર છે. આ યોજના અનુસાર પ્રથમ તબક્કામાં શાળામાં ભણતી સર્વાઇકલ કેન્સર પીડિત બાળાઓને ટાર્ગેટ કરવામાં આવશે. જ્યારે આ વેક્સિનેશન શાળાઓ અને સ્વાસ્થ્ય કેન્દ્રોના માધ્યમથી મફતમાં આપવામાં આવશે.
તજજ્ઞોના મતે આ વયમાં વેક્સિન લેવાના કારણે વાયરસ સામે સૌથી પ્રભાવશાલી સુરક્ષા મળે છે, કેમ કે સર્વાઇકલ કેન્સરના લગભગ ૯૦ ટકા કેસ એચપીવી વાયરસના સંક્રમણના કારણે થાય છે.
આ અતિ મહત્વના આરોગ્ય લક્ષી અભિયાન જામનગર શહેરમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત નીલકંઠ નગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા આજે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, આ વેળાએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી ની સાથે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર પાર્થભાઇ કોટડીયા તથા આરોગ્ય વિભાગની ટીમ સાથે જોડાઈ હતી, અને 'મારી દીકરી મારું ગૌરવ' અને 'આજે એક રસી, કાલે જીવનભરનું રક્ષણ' ના સૂત્ર સાથે આ મહા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે.