BREAKING NEWS

તા.૩ મે ના રોજ યોજાનાર NEET(UG) ની પરીક્ષાના સુચારુ આયોજન અંગે જામનગર કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

  • May 01, 2026 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૩ મે ના રોજ યોજાનાર NEET(UG) ની પરીક્ષાના સુચારુ આયોજન અંગે જામનગર કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ખાતે સમયસર પહોચી શકે તે માટે તંત્ર દ્વારા એસ.ટી. બેસ સ્ટેન્ડથી પરીક્ષા કેન્દ્રો સુધી વિશેષ બસો ફાળવવામાં આવશે

જામનગર જિલ્લામાં આગામી તા.૩ મે ના રોજ બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન NEET(UG)ની પરીક્ષા યોજાનાર છે. જેના સુચારુ આયોજન અંગે અને લગત વિભાગો દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા અંગે કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

બેઠક દરમિયાન કલેકટરએ પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, વીજળી, સ્વચ્છતા તેમજ સુરક્ષા સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે અંગે ખાસ સૂચનાઓ આપી હતી. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ વિભાગ સાથે સંકલન સાધવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા સૂચના આપવામાં આવી હતી. 

વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં સહાયરૂપ થાય તે માટે જામનગર મહાનગર પાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય નિયામક કચેરી જામનગર દ્વારા ખાસ બસો ફાળવવામાં આવી છે. જેમાં જામનગર એસ.ટી.વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રોએ પહોચી શકે તે માટે પરીક્ષા કેન્દ્ર વાલસુરા અને અલીયાબાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બન્ને કેન્દ્રો ખાતે જવા માટે વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી સવારે ૮:૦૦ કલાકે, ૯:૦૦ કલાકે અને ૯:૩૦ કલાકે બસો ઉપડશે. 

આ ઉપરાંત અન્ય પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ સરળતાથી પહોચી શકે તે માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા સીટી બસ ફાળવવામાં આવી છે. આ બસ ત્રણ પરીક્ષા કેન્દ્રો જેમાં કેન્દ્રીય વિદ્યાલય-૧ એરફોર્સ સ્ટેશન-૧,  કેન્દ્રીય વિદ્યાલય-૨, ઇન્ફેન્ટ્રી લાઈન્સ, જેલ રોડ ગેટપાસે અને ડીકેવી કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પહોચવા માટે એક એસટી બસ સવારે ૮:૩૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી એસટી ડેપોથી ત્રણે પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને ઉતારીને આવી જાય અને ૧૧:૦૦ વાગ્યા સુધી આ ટ્રીપ ચાલુ રહે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. NEET(UG) જેવી મહત્વની પરીક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તમામ વિભાગોએ સંકલનથી કામગીરી કરવા કલેકટરએ જણાવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એસ.એમ.કાથડ તથા લાગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application