વિશ્ર્વ વિખ્યાત જામનગરની શાન મહાવીર બાંધણીની શાલ વડાપ્રધાનને અર્પણ: સાંસદએ કર્યું સન્માન
જામનગરના હજારો નાના-મોટા કારીગરો માટે ગૌરવની ક્ષણ: શહેરની ઓળખ અને પ્રાચીન કલા બાંધણીએ ભારે આકર્ષણ જગાવ્યું
જામનગરની ધરા પર જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થયું, ત્યારે તેમનું સ્વાગત પરંપરાગત અને ગૌરવશાળી રીતે કરવામાં આવ્યું. આ અવસરે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા વડાપ્રધાનને મહાવીર બાંધણીની વિશેષ શાલ ઓઢાડીને જે સન્માન કરવામાં આવ્યું, તેણે જામનગરની કલા-સંસ્કૃતિને ફરી એકવાર વૈશ્વિક ફલક પર ઝળકાવી છે. આ ઘટના માત્ર એક સન્માન વિધિ નથી, પરંતુ જામનગરની સદીઓ જૂની બાંધણી કળા અને ખાસ કરીને મહાવીર બાંધણીની ઉત્કૃષ્ટ ગુણવત્તા પર મહોર સમાન છે.
આ શાલ જામનગરના પ્રખ્યાત મહાવીર બાંધણી દ્વારા ખાસ પરંપરાગત કળા અને નાજુક હસ્તકલા સાથે તૈયાર કરવામાં આવી હતી. બાંધણીની આ અનોખી રચનામાં ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને કારીગરોની મહેનત સ્પષ્ટપણે ઝળકે છે.
મહાવીર બાંધણીની શાલએ માત્ર વસ્ત્ર નથી, પણ જામનગરના કારીગરોની વર્ષોની મહેનત, જીવંત કલા અને સંસ્કારનો અર્ક છે. જ્યારે પૂનમબેન માડમ જેવા જનપ્રતિનિધિ વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાના સન્માન માટે મહાવીર બાંધણીની શાલની પસંદગી કરે છે, ત્યારે તે સાબિત કરે છે કે આ બ્રાન્ડની ગુણવત્તા અને તેની ડિઝાઇનમાં કંઈક એવી ભવ્યતા છે જે રાજવી સન્માનને પાત્ર છે. મહાવીર બાંધણી તેની બારીક બાંધણી, આકર્ષક રંગો અને અત્યંત ઝીણવટભર્યા કામ માટે જાણીતી છે. વડાપ્રધાનને અર્પણ કરવામાં આવેલી શાલમાં રહેલી કલાત્મકતા એ બાબતની સાક્ષી પૂરે છે કે આધુનિક યુગમાં પણ જામનગરના કારીગરોએ પોતાની હસ્તકળાને કેટલી જીવંત અને આધુનિક રાખી છે.
જામનગરની બાંધણી કળા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. પ્રધાનમંત્રીને અર્પણ કરાયેલ આ શાલ જામનગરની સમૃદ્ધ પરંપરા, કળા અને સ્થાનિક કારીગરોના કૌશલ્યનું ગૌરવપૂર્ણ પ્રતીક બની છે. વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે જ્યારે આ શાલની પસંદગી કરવામાં આવી, ત્યારે તે જામનગરના હજારો નાના-મોટા કારીગરો માટે ગૌરવની ક્ષણ બની રહી હતી.