માધવપુર ઘેડના મેળા સાથે દ્વારકામાં તા.૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરાશે
સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનોનો ઉત્સવ માધવપુર ઘેડનો મેળો યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાએ કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃઉજાગર કરવા દ્વારકામાં તા.૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા, ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
કલેકટરશ્રીએ આ કાર્યક્રમ માટે પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, આરોગ્ય, વીજ પુરવઠો, શોભાયાત્રાના સમગ્ર રૂટ પર સ્વચ્છતા સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, પોલસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી હેતલ જોશી, વહીવટદાર દ્વારકાધીશ મંદિર શ્રી હિમાંશુ ચૌહાણ, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...