જામનગર: મોખાણા ગામે પુન: દીપડાના આંટાફેરા, પાંજરૂ મૂકી પકડવાની કાર્યવાહી
દોડધામ:ગ્રામજનોની ફરિયાદોના પગલે વનવિભાગની કાર્યવાહી
તપાસમાં કોઇ ફુટ માર્ક મળ્યા નહીં: લોકોમાં ભયનું લખલખું
જામનગર તાલુકાના મોખાણા ગામે પુન: દીપડાના આંટાફેરાની ગ્રામજનોની ફરિયાદોના પગલે વનવિભાગે પાંજરૂ મૂકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે. જો કે, વન વિભાગે કરેલી તપાસમાં દીપડાના કોઇ ફુટ માર્ક મળ્યા નથી. પુન: દીપડો દેખાયાની ફરિયાદોથી લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે.
જામનગર તાલુકાના મોખાણા ગામના વાડી વિસ્તારમાં ગત સપ્તાહે દીપડો દેખાયો હતો. અમુક ગ્રામજનોએ દીપડાને નજરે જોયાની ફરિયાદ કરી હતી. બનાવની જાણ વનવિભાગને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમ્યાન દીપડાના ફુટ પ્રીન્ટ વનવિભાગના અધિકારીઓને મળી આવ્યા હતાં. આથી આ વિસ્તારમાં દીપડો હોવાનું પુરવાર થયું હતું. દીપડાના ફુટ પ્રિન્ટ મળી આવતા ગ્રામજનોમાં ભારે ફફડાટ સાથે ભયની લાગણી પ્રસરી હતી. વનવિભાગના અધિકારીઓ દ્વારા સરપંચ સહીત ગ્રામજનો સાથે ચર્ચા કરી દીપડા પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ બે દીવસ બાદ તપાસમાં કોઇ ફુટ માર્ક ન મળતા દીપડો અન્યત્ર ચાલ્યો ગયાનું અનુમાન વનવિભાગના અધિકારીઓએ વ્યકત કર્યું હતું. આટલું જ નહીં વનવિભાગ દ્વારા ગ્રામજનો સાથે બેઠક કરી ખોટો ભય ન રાખવા સમજણ આ૫ી ચર્ચા વિચારણા કરી હતી.
પરંતુ મોખાણાની સીમ વિસ્તારમાં પુન: દીપડો દેખાયાની તથા તેના અવાજ સંભળતા હોવાની ફરિયાદ ગ્રામજનોએ શનિવારે કરી હતી. આથી આ ફરિયાદોના પગલે વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકી દીપડો પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે, વનવિભાગની તપાસમાં દીપડાના કોઇ ફુટ માર્ક મળ્યા નથી.પરંતુ પુન:દીપડાના આંટાફેરાની ફરિયાદોથી ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ છે.