જામનગર, સુરેન્દ્રનગર,અમરેલી, સાબરકાંઠા જિલ્લામાં માવઠું

  • April 28, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાલપુરમાં કરા: સબ સ્ટેશન પર વીજળી ત્રાટકી: માવઠાના કારણે મહત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું નીચે ઉતર્યું: સમગ્ર રાજ્યમાં 40 ડિગ્રી નીચે પારો આવી ગયો




સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી માવઠાનો વરસાદ વરસી રહ્યો છે અને હજુ તે સિલસિલો ચાલુ રહેશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. સ્ટેટ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં જામનગર સુરેન્દ્રનગર સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ કરા અને તોફાની પવન સાથે વરસાદ થયો છે.



જામનગર જિલ્લાના લાલપુરમાં કરા સાથે વરસાદ થયો છે અને જામનગર લાલપુર રોડ પર આવેલ જેટકોના સબ સ્ટેશન પર વીજળી પડતા ભારે નુકસાન થયું છે. જામનગર જિલ્લાના કાલાવડમાં પણ સારો વરસાદ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધારી ફાચરિયા ગોવિંદપુર અને સરસિયામાં વરસાદ થયો હોવાના વાવડ મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સારો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળે છે.



હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ જુનાગઢ અમરેલી મોરબી દ્વારકા જામનગર અને કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા તાપી ડાંગ અને સુરત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


માવઠાનો વરસાદ શરૂ થયો ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી થી વધુ હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં ચારથી પાંચ ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું છે. સમગ્ર રાજ્યમાં 40 ડિગ્રી થી નીચે તાપમાન રહેવા પામ્યું છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી અને સૌથી ઓછું તાપમાન ઓખામાં 31.6 ડીગ્રી નોંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application