રાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ જમ્પ કરી ને ભાગી છૂટેલા જામનગરના આરોપીને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય , રાજકોટ વિભાગ તથા જામનગર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જે અન્વયે જામનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રભાઈ પટેલ, વિજયભાઈ કારેણા અને જયેશભાઈ પઢેરીયાને ખાનગી બાતમી મળેલ કે, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન (પેરોલ લીવ) ના આદેશ મુજબ પેરોલ રજા પર મુકત થયેલ રાજકોટ મધ્યસ્થ જેલનો કેદી ચિરાગ રાજેશભાઈ ઠાકર (રહે. હવાઈચોક, શ્રીજી એપાર્ટમેન્ટ, જામનગર) કે જેની ચીટીંગ ના એક ગુનામાં ધરપકડ કરીને રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યો હતો જે પેરોલ જમ્પ કરી ફરાર થયો છે.
આ બાતમીના આધારે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા સેતાવાડ વિસ્તારમાં વંદે માતરમ નજીક બફ ટીકીટ કપડાની દુકાન ખાતે દરોડો પાડવામાં આવતાં આરોપી મળી આવ્યો હતો, જેને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી માટે સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગરને સોંપવામાં આવ્યો હતો, જેને ફરી રાજકોટ ની જેલમાં મોકલી આપ્યો છે.