BREAKING NEWS

લાલપુરના રીંજપર - નાંદુરી ગામે નદીના પટમાં ગેરકાયદે વીજપોલ ઉભા કરાતા નોટીસ

  • July 04, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરના રીંજપર - નાંદુરી ગામે નદીના પટમાં ગેરકાયદે વીજપોલ ઉભા કરાતા નોટીસ

૭ દિવસની અંદર જમીનને મૂળ સ્થિતિમાં લાવવા અને તાત્કાલિક અસરથી તમામ કામગીરી રોકી દેવા માટે કડક આદેશ

જામજોધપુર પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા લાલપુર તાલુકાના રીંજપર અને નાંદુરી ગામે આવેલી રુપાવતી અને શિયાળીયો નદીના પટમાં મંજૂરી વિના મોટા પાયે વીજપોલ ઉભા કરવા બદલ એનટીપીસી રિન્યુએબલ એનર્જી્ લિમિટેડ કંપનીને કડક નોટિસ ફટકારવામાં આવી છે. 

નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા જારી કરાયેલી આ નોટિસમાં જણાવાયું છે કે, કંપની દ્વારા સિંચાઈ વિભાગની કોઈ પણ પ્રકારની પૂર્વ ટેકનિકલ મંજૂરી લીધા વિના જ નદીના વહેણમાં આ ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે સિંચાઈ અધિનિયમ હેઠળ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. નદીના જીવંત વહેણમાં જ આ પોલ ઉભા કરાયા હોવાથી આગામી ચોમાસામાં પૂરની સ્થિતિ દરમિયાન આસપાસની ખેતીની જમીનમાં બેકવોટર ભરાવવાની અને પાક ધોવાઈ જવાની મોટી ભીતિ સેવાઈ રહી છે, તેમજ પૂરના પાણીને કારણે વીજપોલનું ફાઉન્ડેશન નબળું પડતાં શોર્ટ સર્કિટ અને ગંભીર અકસ્માતો સર્જાવાનું જોખમ પણ ઊભું થયું છે. 

તંત્ર દ્વારા કંપનીને નદી અને જળાશય વિસ્તારમાંથી આ વીજપોલ હટાવીને ૭ દિવસની અંદર જમીનને મૂળ સ્થિતિમાં લાવવા અને તાત્કાલિક અસરથી તમામ કામગીરી રોકી દેવા માટે કડક આદેશ કરવામાં આવ્યો છે. જો ચોમાસાની શરૂઆત પહેલા આ નોટિસનું પાલન કરવામાં નહીં આવે તો સિંચાઈ અધિનિયમ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, એટલું જ નહીં, આ ગેરકાયદેસર બાંધકામના કારણે જો પૂર આવે અને કોઈ જાનમાલ કે નુકસાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પણ એનટીપીસી કંપનીની રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application