જો માતાપિતા કરશે આ ભૂલો તો બાળકથી થઇ જશે દૂર, ધ્યાનમાં રાખો આ બાબતો

  • January 09, 2024 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકો ઘરના વડીલોનુ અનુકરણ કરતા હોય છે અને તેમની પાસેથી શીખ લેતા હોય છે. તેથી, માતાપિતાના વર્તનની બાળકોના વિકાસ પર મોટી અસર પડે છે. પરંતુ માતાપિતા, તેમના બાળકોને કંઈક શીખવવાનો પ્રયાસ કરતી વખતે અથવા તેમને ઉછેરતી વખતે, અજાણતાં કેટલીક ભૂલો કરે છે. જેની સીધી અસર તેમના બાળકના વર્તન પર પડે છે અને માતાપિતા જેટલું તેમના બાળકની નજીક જવાનો પ્રયાસ કરે છે તેટલા જ બાળકો તેમનાથી દૂર જવા લાગે છે. આથી, માતાપિતા અને બાળકો વચ્ચે અંતર વધવા લાગે છે. તેથી, બાળકોના યોગ્ય વિકાસ અને ઉછેર માટે માતાપિતાએ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ.


બાળકની સરખામણી ન કરવી

માતાપિતાને લાગે છે કે તેમના બાળકની અન્ય બાળક સાથે સરખામણી કરવાથી તેમને પ્રોત્સાહન અને પ્રેરણા મળશે. પરંતુ આવું થવાને બદલે વિપરીત થાય છે. અન્ય બાળકો સાથે સરખામણી કરવાથી તમારા બાળકને ખરાબ લાગે છે, જે તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. આ કારણે બાળકો ચીડિયા અને આક્રમક પણ બની શકે છે. આથી, તમારા બાળકની અન્ય સાથે તુલના કરવાનો આગ્રહ રાખવો નહી.


સાંભળવા કરતાં વધુ બોલવું

જ્યારે બાળક સાથે કંઇક ખોટું થાય છે, ત્યારે માતાપિતા તેની વાત સાંભળતા નથી. એટલું જ નહીં બાળકની વાત સાંભળ્યા વિના જ તેના પર ગુસ્સે થતા રહે છે. બાળક સાથે વાતચીત કરી જે-તે બાબતને યોગ્ય રીતે જાણવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. ત્યારે ગુસ્સો કરવાને બદલે સૌ પ્રથમ શાંત ચિત્ત રાખી માતા પિતાએ બાળક સાથે વાત કરી, જે-તે બાબતને વિગતે જાણવી જોઇએ. આથી, જો તમારું બાળક કોઈ બાબતમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું હોય તો વાતચીત કરવાથી તમારા બાળકની સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી શકો છો.


બાળકોને સમય આપવાનો અભાવ

આજકાલ લોકોની જીવનશૈલી અને સમયપત્રક ખૂબ જ વ્યસ્ત છે. એટલું જ નહીં, માતાપિતાને બાળકો સાથે બેસીને વાત કરવાનો કે આહાર લેવાનો પણ સમય મળતો નથી. આમ, આજના સમયમાં માતાપિતા બાળકોને પૂરતો સમય આપી શકતા નથી. ત્યારે આ બાબતની ચોક્કસ અસર બાળક પર પડે છે. ઘણી વખત બાળક પર નકારાત્મક અસર પડે છે અને બાળક માતા-પિતાથી દૂર થવા લાગે છે. કેટલીક વખત માતાપિતા બાળકને સમય ન આપતા હોય તો બાળક ખોટી સંગત કરી બેસે છે. જેના ભવિષ્યમાં માઠા પરિણામો પણ આવતા હોય છે. આથી, તમારા બાળક સાથે ચોક્કસપણે સમય વિતાવો. જો શક્ય હોય તો તેમની સાથે રમો અને વાત કરો.


બાળકો માટે નિયમો

બાળકને ગમે તે કરવા દેવું સારું પણ બાળક માટે નિયમ તો રાખવો જ જોઇએ. રજાના દિવસે પણ બાળકને સમયસર ઉઠવા અને કસરત કરવા જેવી બાબતોના ફાયદા વિશે જણાવીને તેને પ્રોત્સાહિત કરવા જોઇએ. ઘરમાં બાળક માટે નિયમ રાખવા જોઇએ. સાથે જ એ પણ ધ્યાનમાં રાખવું કે બાળક એ નિયમનું પાલન કરે.


ખોટી સજા આપવી

ઘણી વખત માતા-પિતા તેમના બાળકોને તેમની ભૂલોની ખોટી સજા આપે છે. જેના કારણે તેમની અંદર ચીડિયાપણું અને ગુસ્સો આવવા લાગે છે. આમ, ખોટી સજાની બાળક પર નકારાત્મક અસર પણ પડે છે. આવી સ્થિતિમાં બાળકને ફટકાર કે ઠપકો આપો પણ ખ્યાલ રહે કે તેનાથી બાળક પર નકારાત્મક અસર પડે નહી. તમારા બાળકને સુધારવા તેની ઉંમર, પરિસ્થિતિ, તેણે કરેલી ભૂલ, તેનો સ્વભાવ સહિતની બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application