નાની લાખાણી પાસે મોટરસાયકલની ટક્કરથી વૃદ્ધનું મોત
અન્ય એક વ્યક્તિને ઇજા થતા હોસ્પીટલમાં ખસેડાયા
જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો યથાવત રહયા છે, નાની લાખાણી રોડ પર મોટરસાયકલ ચાલકની બેદરકારીથી થયેલી ટક્કરમાં બે રાહદારીઓ પૈકી એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ઇજાઓ પહોંચી છે. જે અકસ્માતના બનાવ અંગે બાઇક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
ફરિયાદી ટેમભા દીપસંગ જાડેજા (ઉ.વ. ૬૫, રહે. નાની લાખાણી ગામ) તા. ૦૫ના રોજ રાત્રે આશરે ૯ વાગ્યે તેઓ તથા નાની લાખાણી ગામમાં રહેતા દાદુભા ભવાનસંગ જાડેજા (ઉ.વ. ૬૯) પગપાળા ચાવડા ગામના પાટીયા પાસે આવેલા મામા દેવના મંદિરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન મંદિરથી થોડે આગળ પહોંચતા આરોપી કેશુ નાનસિંહ પશાયા પોતાના મોટરસાયકલ નં. જીજે૧૦સીસી-૨૩૩૦ લઈને પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી પાછળથી આવી બંનેને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બંને વ્યક્તિઓ જમીન પર પટકાઈ ગયા હતા. જેમાં ફરિયાદીને કપાળ, ડાબા પગ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે દાદુભા જાડેજાને માથા, કપાળ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન દાદુભાનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.