દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયા પર્વે ભગવાનનો અલૌકિક ચંદન શૃંગાર
આગામી બે માસ સુધી ભક્તો કરી શકશે ઠાકોરજીના શીતળ દર્શન
દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે આજે ભગવાન દ્વારકાધીશના અદભુત અને મનોહર દર્શનથી ભક્તો ભાવવિભોર થયા હતા. વૈશાખ સુદ ત્રીજના શુભ દિને કાળઝાળ ગરમીમાં ભગવાનને શીતળતા પ્રદાન કરવાના ભાવ સાથે, મંદિરના પુજારીઓ દ્વારા ભગવાનને વિશિષ્ટ ઋતુ અનુસાર ચંદનનો લેપ કરી ચંદન વાઘનો દિવ્ય શૃંગાર ધારણ કરાવવામાં આવ્યો હતો.
અખાત્રીજના પર્વ નિમિત્તે બપોરે ૧૨:૦૦ કલાકે ભગવાન દ્વારકાધીશની વિશેષ ચંદન શૃંગાર સાથે ઉત્સવ આરતી પણ સંપન્ન કરવામાં આવી હતી. અક્ષય તૃતીયાથી શરૂ કરીને આગામી બે મહિના સુધી મંદિર પરિસરમાં ખાસ ઉનાળુ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત ભગવાનના વસ્ત્ર પરિધાનમાં પણ મહત્વનો ફેરફાર જોવા મળશે. અત્યાર સુધી જે રાજધિરાજ સ્વરૂપના ભારે વસ્ત્રો ધરાવવામાં આવતા હતા, તેની જગ્યાએ હવે ઠંડક આપે તેવા હળવા અને શીતળ વસ્ત્રો ભગવાનને પરિધાન કરાવવામાં આવશે. માત્ર શૃંગાર કે વસ્ત્રોમાં જ નહીં, પરંતુ ભગવાનને ધરાવવામાં આવતા ભોગમાં પણ ઋતુને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યા છે.
આગામી બે મહિના સુધી ઠાકોરજીને શીતળતા પ્રદાન કરતા ઠંડા ભોગ અર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે મુરબ્બાનું અથાણું, કેરી, શ્રીખંડ, ખારી મગની દાળ અને ચણાની મીઠી દાળ જેવી વિવિધ સામગ્રીઓનો સમાવેશ થાય છે. ભગવાનને ઉનાળાની ગરમીથી રાહત આપવા અને તેમને શીતળતાનો અનુભવ કરાવવા માટે આ પરંપરાગત સેવાઓ સમગ્ર ઉનાળા દરમિયાન ભક્તિભાવપૂર્વક ચાલુ રહેશે, જેના દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા છે.