આવો દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ સત્કાર સમારોહના સાક્ષી બનવા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી(હર્ષદ) ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ગ્રામજનો દ્રારા સ્વાગત કરાશે
દ્વારકામાં હાથી ગેટ પાર્કિંગ ખાતે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભવ્ય મલ્ટીમીડિયા શો
ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા.૨૭ માર્ચથી તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધી યોજાઈ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં તા.૩૧ માર્ચના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીની ભવ્ય શોભાયાત્રાનું ગાંધવી (હર્ષદ) ખાતે ગ્રામજનો તથા મહાનુભાવો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ લાંબા, ભોગાત તથા કુરંગા ખાતે શોભાયાત્રાનું ગ્રામજનો દ્રારા સ્વાગત કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીની ભવ્ય શોભાયાત્રાનું દ્વારકા નગરીમાં આગમન થતા હાથી ગેટ ખાતે વિવિધ સમાજ દ્રારા સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ શોભાયાત્રાનું પ્રજાપતિ સમાજવાડી, સુદામા સેતુ પાસે, વેરાઇ માતાજીના મંદિર, સોની જગ્યા સામે, દ્વારકાધીશ મંદિર થઇ જોધાભા માણેક ચોક, જુના બસ સ્ટેન્ડ, એ-વન મેડિકલ પાસે, ખારવા દરવાજા, તીનબતી ચોક, રબારી ગેટ, શરદાપીઠ કોલેજ હાઇ-વે ગેટ પાસે, ટીવી સ્ટેશન ચોકડી થઇ રૂકમણી મંદિર ગેટ થઇ રૂકમણી મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન થશે. તેમજ દ્વારકા હાથી ગેટ પાર્કિંગ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ઉત્તર પૂર્વના કલાકારો દ્રારા ભવ્ય મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવશે.