જામનગરની સાયચા ગેંગના વધુ એક સાગરીતની ધરપકડ
પાંચ દિવસના રીમાન્ડ મંજુર કરતી સ્પે. ગુજસીટોક કોર્ટ : ચાર આરોપીનો જેલમાંથી કબ્જો લેવાશે
જામનગર પોલીસ દ્વારા સાયચા ગેંગના ૧૧ સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ આરોપીઓને ઝડપી લેવાયા હતા. જ્યારે ચાર આરોપીઓ હાલ જેલમાં છે, તથા એક આરોપી પકડવાનો બાકી હતો, જે આરોપીને એલસીબીની ટુકડી એ ઝડપી લીધો છે, અને રાજકોટની સ્પેશિયલ અદાલત સમક્ષ રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. પોલીસ દ્વારા અન્ય આરોપીઓ તથા ટોળકી દ્વારા ગેરકાયદે પ્રવૃતીથી વસાવેલ મિલકતો અંગે વેરીફાઇ કર્યા બાદ જરૂર જણાયે ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.
જામનગર જીલ્લામા એજાજ ઉમર સાયચા તથા રજાક નુરમામદ સાયચાએ તેઓના સાગરીતો સાથે મળીને સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી ખુન, ખુનની કોશિષ,અપહરણ ખંડણી,બળજબરીથી કઢાવી લેવુ,આર્મ્સ એકટ, ફાયરીંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવ,જાનથી મારી નાખવાની ધમકી, રાયોટીંગ, જમીનનો ગેરકાયદેસર કબજો કરવા, આપધાતની દુષ્પ્રેરણાં, જાહેરનામા ભંગ, પ્રોહીબીશન, જુગારધારા, હથિયાર બંધી જાહેરનામા, મારામારીના ગુનાઓ આચરી સામાન્ય નાગરીકોમા ભય પેદા કરી, પોતાની ટોળકીની ગુનાહિત પ્રવ્રુતિ પ્રત્યેક્ષ કે પરોક્ષ ગેંગના સભ્ય તરીકે ચાલુ રાખેલ હોય, જેમાં આજ દીન સુધીમાં સાયચા ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ-૭૪ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.અને હાલમા પણ તેઓની ગુનાહિત ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ છે, એલસીબી પીઆઇ વી.બી.ચૌધરીએ આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવ્યો હતો. આ ગુનામાં ૬ આરોપીઓ ગુલામ જુસબભાઇ સાયચા, મહેબુબ જુસબભાઇ સાયચા, અસગર જુસબભાઇ સાયચા, હનીફ નુરમામદભાઇ સાયચા, ઇમ્તીયાઝ નુરમામદભાઇ સાયચા, અને રજાક દાઉદભાઇ ચાવડા ઉર્ફે રજાક સોપારીને ઝડપી લેવાયા હતા. અને રિમાન્ડ પર લેવાયા છે.
જે ગેંગનો સાગરીત અને ફરારી આરોપી એજાજ ઉંમર સાયચાને એલ.સી.બી.ની ટુકડીએ ઝડપી લીધો હતો, અને તેને રાજકોટની સ્પેશિયલ અદાલત સમક્ષ રજૂ કર્યા પછી તેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે. જેની પણ પૂછપરછ ચલાવાઇ રહી છે.
જ્યારે બસીર જૂસબભાઈ સાયચા, સિંકદર નુરમામદભાઇ સાયચા, ઇમરાન નુરમામદભાઇ સાયચા, રજાક નુરમામદભાઇ સાયચા હાલ આ ચારેય શખ્સો જેલમાં છે. તેઓનો જેલમાંથી કબજો લેવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ ટુકડી દ્વારા આ પ્રકરણમાં અન્ય કોઇની સંડોવણી બાબતે સધન તપાસ તેમજ ટોળકી દ્વારા ગેરકાયદે પ્રવૃતીથી વસાવેલ મિલકતો બાબતે પણ વેરીફાઇ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.