ખંભાળિયા: કલ્યાણપુરના અપહરણ-પોક્સો ગુનામાં આરોપી મધ્યપ્રદેશથી પકડાયો
ભોગ બનનાર સગીરાને શોધી કાઢી : મેડીકલ અંગે તપાસણી
કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરી ભગાડી જવા અંગે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય સાહેબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા સાહેબ તેમજ દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ભોગબનનાર અને આરોપી મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં હોવાની ચોક્કસ માહિતી મળતા કલ્યાણપુર પોલીસની એક ટીમ તાત્કાલિક મધ્યપ્રદેશ રવાના થઈ હતી. પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના જલખેડા વાકાનેર ખાતેથી આરોપી રોહિતભાઈ છોટુલાલ સોલંકી (ઉંમર વર્ષ ૧૯, ધંધો: મજુરી, રહે. વાકાનેર જલખેડા, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો અને ભોગબનનાર સગીરાને મુક્ત કરાવી હતી. પોલીસે આરોપીની ધોરણસર અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ભોગબનનારની તબીબી તપાસ કરાવવાની તજવીજ શરૂ કરી છે. આ સફળ કામગીરીમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એન. હાથલીયા, પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, પી.એસ.આઈ. કે.પી. ઝાલા, એ.એસ.આઈ. ભીમશીભાઈ કાગડીયા, હેડ કોન્સ્ટેબલ લખમણભાઈ કારાવદરા, ધરણંતભાઈ માડમ, રામભાઈ ચંદ્રવાડીયા તેમજ વુમન પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન ઓડેદરા જોડાયા હતા.