ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે એક હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં એક ૨૩ વર્ષીય માતાએ પોતાની બે માસૂમ દીકરીઓ સાથે કૂવામાં કૂદીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. પોતાના કાળજાના ટુકડા સમાન દીકરીઓને મોતની ખાઈમાં ધકેલીને માતાએ પોતે પણ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ ઘટનાને પગલે અનવરપુરા ગામ સહિત સમગ્ર ઝાલોદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકો આઘાતમાં સરી પડ્યા છે.
મળતી વિગતો અનુસાર, અનવરપુરા ગામે રહેતા ૨૩ વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. તેમણે પોતાની ત્રણ વર્ષની દીકરી પ્રાચી અને માત્ર દોઢ વર્ષની દીકરી વંશીને સાથે રાખીને ગામમાં આવેલા એક ઊંડા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ત્રણેય કૂવાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રામજનોને આ વાતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને આસપાસના લોકોએ તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને આ અંગે માહિતગાર કર્યા હતા.
ઘટનાની ગંભીરતાને જોતાં ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને કૂવાના ઊંડા પાણીમાં ભારે શોધખોળ આદરી હતી. કલાકોની ભારે જહેમત બાદ તરવૈયાઓને માતા સુનીતાબેન અને એક બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. બંનેના મૃતદેહો બહાર આવતા જ ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. જો કે, બીજી બાળકીનો મૃતદેહ તાત્કાલિક ન મળતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કૂવાના પાણીમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું.
માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે સુનીતાબેને આટલું મોટું અને ભયાનક પગલું કેમ ભર્યું, તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આ સામૂહિક આત્મહત્યા પાછળ ઘરકંકાસ, આર્થિક તંગી કે પછી અન્ય કોઈ પારિવારિક કારણ જવાબદાર છે, તે દિશામાં ઝાલોદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને પરિવારના સભ્યો તેમજ આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે. એક જ પરિવારની ત્રણ-ત્રણ જિંદગીઓ આ રીતે હોમાઈ જતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે.