ગુજરાતમાં આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવાના અભિયાનમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને વધુ એક સફળતા મળી છે. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' (JeM) ના પકડાયેલા પાંચ સક્રિય આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સિદ્ધપુરથી પકડાયેલા આ પાંચેય આતંકીઓ કથિત જેહાદના રસ્તે વર્ષ ૨૦૨૩થી જ બોમ્બ બનાવવાની અને આઈઈડી (IED) એસેમ્બલ કરવાની કટ્ટર ટ્રેનિંગ ઓનલાઈન મેળવી રહ્યા હતા. કડી કોર્ટે આ તમામ આરોપીઓના ૮ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા બાદ એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આ આતંકીઓ ભારતમાં મોટી તબાહી મચાવવાના ઈરાદા સાથે વર્ષ ૨૦૨૩થી જ સક્રિય થઈ ગયા હતા. તેઓએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ તેમજ સ્થાનિક બજારમાંથી ગન પાઉડર અને વિસ્ફોટકો બનાવવા માટેનું રો-મટીરીયલ (કાચો માલ) એકત્ર કર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અત્યંત શાતિર મગજ ધરાવતા આ આરોપીઓએ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં અલગ-અલગ નિર્જન જગ્યાઓ શોધીને કુલ ૮ વખત એક્સપ્લોઝિવ ટાઈમર મિકેનિઝમથી આઈઈડી (IED) બ્લાસ્ટ કરવાના સફળ પરીક્ષણો (ટેસ્ટિંગ) પણ કરી લીધા હતા. આ બાબત દર્શાવે છે કે તેઓ કોઈ મોટા હુમલાની બિલકુલ નજીક પહોંચી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે, પકડાયેલા આ તમામ આતંકવાદીઓ રાજ્યના વિવિધ મદ્રેસાઓ સાથે જોડાયેલા હતા. તેઓ ત્યાં રહીને જ આતંકી વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. સામાન્ય અને નિર્દોષ યુવાનોને પોતાના નેટવર્કમાં ભેળવવા માટે તેઓ જૈશના સ્થાપક મસૂદ અઝહરના ઝેરીલા જેહાદી ભાષણો અને વીડિયો પેનડ્રાઈવ મારફતે અન્ય લોકોને વહેંચતા હતા. આ સિવાય, તેઓ મસ્જિદોમાં ગુપ્ત રીતે ભેગા થઈને આઈઈડી (IED) ડેટોનેટર એસેમ્બલ કરવા જેવા અતિ જોખમી કામોની તાલીમ લેતા-આપતા હતા. મદ્રેસાના અન્ય વિદ્યાર્થીઓને આ કાળા કારનામામાં જોડવા માટે તેઓએ અત્યાર સુધીમાં ત્રણ વખત ગુપ્ત રીતે 'દાવત' નું આયોજન પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ૩ જુલાઈએ એટીએસની પાંચ ટીમોએ ઓપરેશન પાર પાડીને ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશના ૮ આતંકીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓની ઊંડી પૂછપરછ બાદ ખુલેલી કડીઓના આધારે જ ૧૬ જુલાઈએ આ વધુ ૫ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં એટીએસની ટીમ આ તમામ આતંકીઓ કોના સંપર્કમાં હતા, તેમને ફંડિંગ કોણ પૂરું પાડતું હતું અને ગુજરાતમાં તેમનો આગામી ટાર્ગેટ શું હતો, તે દિશામાં કડક હાથે તપાસ ચલાવી રહી છે.