રાજકોટમાં પાણીજન્ય રોગચાળો; ઝાડા-ઉલટી, ટાઇફોઇડ અને કમળો સહિતના ૭૧૫ કેસ મળ્યા

  • March 17, 2025 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ઉનાળાના આરંભે પ્રદુષિત પાણીના વિતરણ તેમજ આઇસ ફેકટરીઓ વિગેરેમાં ચેકીંગના અભાવ વિગેરે કારણોસર પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો સહિતના વિવિધ રોગચાળાના ફુલ ૭૧૫ કેસ નોંધાતા મહાપાલિકા તંત્ર ઊંધામાથે થઇ ગયું છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર એ વિકલી એપેડમિક રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે ગત સોમવારથી આજે સોમવાર સુધીના છેલ્લા એક સપ્તાહમાં સમગ્ર શહેરમાં મેલેરિયાનો એક કેસ, શરદી ઉધરસના ૩૧૬ કેસ, તાવના સૌથી વધુ ૩૧૭ કેસ, ઝાડા ઉલ્ટીના ૭૮ કેસ, ટાઈફોઈડનો એક કેસ, કમળના બે કેસ સહિત કુલ ૭૧૫ કેસ નોંધાયા છે.

અલબત્ત બીજી બાજુ ખાનગી તબીબી વર્તુળો તો મનપાએ જાહેર કરેલા ઉપરોક્ત કેસની આંકડાકીય વિગતો વિશે જણાવે છે કે આથી દસ ગણા કેસ નોંધાઇ રહ્યા છે પરંતુ મહાપાલિકા તંત્ર કદાચ રોગચાળો કાબુમાં હોવાનું ચિત્ર ઉપસાવવા ઓછા કેસ નોંધી રહ્યું હોય તેવું બની શકે છે.

ચીફ હેલ્થ ઓફિસરએ ઉમેર્યું હતું કે રોગચાળો નાથવા માટે છેલ્લા એક સપ્તાહમાં ૧૫,૯૨૫ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળતા ફિલ્ડવર્કરો દ્વારા ૭૫૫ ઘરમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

મચ્છરજન્ય રોગચાળો અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૮૦ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરાઇ હતી જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૭૩ અને કોર્મશીયલ ૨૧ સહિત કુલ ૯૪ને નોટિસ ફટકારાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application