સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44% પાણી: સરદાર સરોવર ડેમમાં 61% જથ્થો

  • April 08, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની કાળજાળ ગરમીમાં પીવાના પાણીની ડિમાન્ડમાં જોરદાર વધારો થયો છે. ચોમાસાની સિઝન આડે હજુ ત્રણ મહિના જેટલો સમય બાકી છે ત્યારે આગામી દિવસોમાં ઉનાળામાં પણ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આંકડાકીય માહિતી સાથે કર્યો છે.

બાવળિયાના જણાવ્યા મુજબ ગુજરાતમાં પીવાના પાણી માટેની લાઈફ લાઈન ગણાતી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં 61% થી વધુ પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમ સહિત ગુજરાતના 207 જળાશયોમાં ગયા વર્ષે પાણીનો જથ્થો 50.84% હતો જ્યારે આ વર્ષે તે 57 ટકાથી વધુ હોવાનું જણાવ્યું છે.

સૌરાષ્ટ્રમાં અને કચ્છ બાબતે એવી માહિતી જાહેર કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 44.44% જળસંગ્રહ છે કચ્છના 20 જળાશયોમાં 41% થી વધુ પીવાનું પાણી ઉપલબ્ધ છે. મોરબી ખાતે આવેલ મચ્છુ ત્રણ જળાશયમાં હાલમાં 100% પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

રાજ્યના અન્ય વિસ્તારો બાબતે અપાયેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 62% થી વધુ, મધ્ય ગુજરાતના 16 જળાશયોમાં 56.21% પીવાનું પાણી ઉપલબ્ધ છે.

રાજ્યના 207 જળાશયોમાંથી 21 જળાશયોમાં 70 થી 100 ટકા, 44 ડેમમાં 50 થી 70 ટકા,74 જળાશયોમાં 25 થી 30 ટકા અને 67 માં 25% થી વધુ પીવાનું પાણી ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમમાં 2,505 વણાકબોરી ડેમમાં 3,700 કડાણા ડેમમાં 1742 ક્યુસેક પાણી છે.

ઉનાળાની સિઝનમાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટેનું સરકારનું આયોજન હોવાનું પણ જણાવાયું છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે પીવાના પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે સાથોસાથ વરસાદનું પાણી વેડફાય નહીં અને તેનો વધુમાં વધુ સંગ્રહ થાય તે માટે સરકારે કેચ ધ રેઇન પ્રોજેક્ટ તારીખ 4 એપ્રિલ થી શરૂ કર્યો છે અને તે 31 મે સુધી ચાલશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application