શહેરમાં મચ્છરોનો અસહય ત્રાસ: જામ્યુંકોનું તંત્ર સાવ નિંભર

  • February 27, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા બે દિવસમાં જામનગરમાં ૬૦૦થી વધુ લોકો તાવ ,શરદી, ઉધરસમાં પટકાયા: ગામડાઓમાં ૧૦૦ થી વધુ દર્દીઓને રોગચાળો: કોર્પોરેશનનું તંત્ર શા માટે ફોગિંગ કરાવતું નથી? લોકોમાં ઉગ્ર રોષ

જામનગર શહેરમાં છેલ્લા અઠવાડિયાથી મચ્છરોનો અસહ્ય ત્રાસ છે છતાં પણ જામનગર મહાપાલિકા નું નિમ્ભર તંત્ર  દવા છંટાવતું નથી લોકો બીમારીના ભોગ બની રહ્યા છે. માત્ર બે જ દિવસમાં ૬૦૦થી વધુ લોકોને તાવ, શરદી ,ઉધરસ થયા છે ગામડાઓની હાલત પણ ખરાબ છે ગામડાઓમાં પણ ૧૦૦ થી વધુ લોકો રોગચાળામાં સપડાયા છે ત્યારે જામનગર મહાપાલિકાના તંત્ર દ્વારા સવાર અને સાંજ ફોગિંગ મશીનથી શહેરમાં મચ્છરોને ભગાડવા જોઈએ. એટલું જ નહીં દીદીથીનો છંટકાવ કરવો જોઈએ તેવું લોકો કહી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ છેલ્લા આઠ દિવસથી જામનગર શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે. જામનગર મહાપાલિકાનો વિરોધ પક્ષ પણ ચૂપ છે. જામનગર શહેરમાં ઠેર ગંદકી હોવાને કારણે મચ્છરનો ઉપદ્રવ બહુ જ વધી ગયો છે સાંજના સમયે પાંચ વાગ્યા બાદ મચ્છરો ઘરમાં ઘૂસી જાય છે અને વેબ કે અન્ય વસ્તુઓ લગાવવા છતાં પણ મચ્છરો ભાગતા નથી રોગચાળો નિવારવો એ  જામનગર મહાપાલિકાની પ્રાથમિકતા છે. અને ફોગિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. પરંતુ જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા કે મુખ્ય મુખ્ય સાઈડ રસ્તા ઉપર શા માટે ફોગીંગ કરાવવામાં આવતું નથી? શું જામનગર મહાપાલિકાના પદાધિકારીઓને મચ્છરનો ત્રાસ નહીં દેખાતો હોય લોકોમાં પણ ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. જામનગરના લોકો અસહ્ય વેરો પણ ભરે છે પરંતુ જે લોકોને પ્રાથમિક સુવિધા આપવી જોઈએ તે સુવિધા આપવામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ઉતર્યું છે તેમ કહી શકાય.
જામનગર શહેરમાં ૧૨ થી વધુ આરોગ્ય કેન્દ્ર મહાનગરપાલિકા ચલાવે છે. કેટલાક આરોગ્ય કેન્દ્રમાં તાવ અને શરદી, ઉધરસ ની દવાઓ પણ મળતી નથી. એટલું જ નહીં જીજી હોસ્પિટલમાં જે રીતે રોગચાળો વધી રહ્યો છે. તે પણ અસત્ય છે છેલ્લા બે દિવસમાં જીજી હોસ્પિટલમાં ૪૦૦ થી વધુ લોકો ઓપીડીમાં તાવ શરદી ઉધરસ ની દવા લેવા આવ્યા છે. જેમાંથી લગભગ ૪૦ થી ૪૫ લોકોને દાખલ પણ કરવામાં આવ્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.
જામનગર શહેરના કેટલાક વિસ્તારો ખડખડ નગર, બચ્ચુ નગર કાલાવડનાકા બહાર, નવાગામ ઘેડ, પંચવટી ગૌશાળા, પટેલ કોલોની, સ્વસ્તિક સોસાયટી રણજીત રોડ, ખોડિયાર કોલોની ,સાધના કોલોની, ઇવા પાર્ક ,મોહનનગર રણજીત રોડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર મચ્છરોનો ત્રાસ વધી ગયો છે દિગ્વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં પણ મચ્છરે માઝા મૂકી છે ત્યારે મહાપાલીકાના નીમ્ભર અધિકારીઓને મચ્છરોનો ત્રાસ દેખાતો નહીં હોય?!!
શહેરના લોકો રીતસરની યાતના ભોગવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં પણ બે થી અઢી ગણો દર્દીનો વધારો થઈ રહ્યો છે મોટાભાગના દર્દીઓ વાઇરલ ઇન્ફેક્શન, તાવ, શરદી અને ઉધરસના જોવા મળે છે એટલું જ નહીં ત્રણ ચાર દિવસથી ગળું બેસી જવાના પણ દર્દીઓ ડોક્ટરો પાસે ફરિયાદ લઈને આવે છે. ત્યારે જામનગર કોર્પોરેશન એ તાત્કાલિક રીતે જે તે વિસ્તારમાં ગંદકી વધુ છે ત્યાં સામૂહિક સફાઈ કરીને દવાનો છંટકાવ કરીને શહેરમાં સવાર સાંજ ફોગીંગ મશીનો ફેરવવા જોઈએ. તેવું પણ લોકો કહી રહ્યા છે. જામનગર ઉપરાંત જામનગર જિલ્લાના ગામડાઓની હાલત પણ ખૂબ જ ખરાબ છે કાલાવડ લાલપુર ધ્રોલ જોડિયા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ દ્વારકા અને ઓખા વિસ્તારોમાં પણ મચ્છરનો ખૂબ જ ત્રાસ છે .ત્યાંના સીએચસી અને પીએચસી કેન્દ્રમાં પણ તાવ ,શરદી, ઉધરસના દર્દીઓ આવી રહ્યા છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી તો આ રોગચાળો ખૂબ જ વધ્યો છે. એવી ચોકાવનારી વિગતો પણ બહાર આવી છે કે કેટલાય સામુહિક આરોગ્ય કેન્દ્ર કે જે જામનગર શહેરમાં અને ગામડામાં પણ કાર્યરત છે ત્યાં તાવ ,શરદી, ઉધરસ ની સામાન્ય દવાઓ પણ મળતી નથી અને દર્દીઓને ખાનગી ડોક્ટરનો સહારો લઈને મસ્ત મોટી ફી ચૂકવવી પડે છે ખાસ કરીને જામનગર મહાનગરપાલિકામાં સ્ટાફ પણ ઓછો છે. તે શા માટે તાત્કાલિક ભરાતો નથી. આરોગ્ય શાખામાં કાર્યરત કર્મચારીઓ પહોંચી શકતા નથી તે પણ હકીકત છે. પરંતુ જે રીતે જામનગર શહેરમાં મચ્છર અને અન્ય જીવાત નો ત્રાસ વધી ગયો છે ત્યારે આ જીવાતથી લોકોને દૂર રાખવા જામનગર મહાનગરપાલિકાએ પ્રયાસો પણ કરવા પડશે લાખો રૂપિયાનો ખર્ચ ડીડિટી અને અન્ય દવાઓમાં વાપરવામાં આવે છે. તો આ ખર્ચનું વળતર કેમ મળતું નથી? તે પણ અહીં પ્રશ્ન છે કોર્પોરેશન તાત્કાલિક અસરથી ફોગિંગ મશીનો શરૂ કરાવે એને જ્યાં જ્યાં વિસ્તારોમાં વધુ મચ્છરો છે. ત્યાં તાત્કાલિક અસરથી આ મશીનો ફેરવીને મચ્છરો દૂર થાય તેવી વ્યવસ્થા કરે તે પણ જરૂર છે આમ જોઈએ તો જામનગરના દરેક પોસ વિસ્તારમાં પણ મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે જેને કારણે લોકો પણ ખૂબ જ કંટાળી ગયા છે ત્યારે ખાનગી દવાખાનામાં મસ મોટી ફી આપીને લોકો તાવ શરદી ઉધરસ ની દવા લે છે. તે પણ હકીકત છે વાયરલ ઇન્ફેક્શન વધી રહ્યું છે. લોકોને ગળામાં દુખાવો પણ જામનગર વાસિયો ખૂબ જ ચિંતાતુર છે.
***
મચ્છરોનો ભયકંર ઉપદ્રવ છતાં કયાંય ફોગીંગ મશીન કેમ ફેરવાતા નથી ?
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ હોવા છતાં મહાનગરપાલિકાના રેઢીયાર તંત્ર દ્વારા પ્રજાને રામ ભરોસે છોડી દેવામાં આવી છે અને મચ્છરોના ઉપદ્રવને નાથવા માટેના કોઇ પગલા લેવામાં આવતા નહીં હોવાનું નરી આંખે જોઇ શકાય છે, કારણ કે જયારે-જયારે મચ્છરોનો ત્રાસ ચરમસીમાએ પહોંચે ત્યારે દરેક વિસ્તારોમાં ફોગીંગ મશીન ફેરવીને મચ્છરોને દુર કરવાનો પ્રયત્ન થતો હોય છે પરંતુ અફસોસ કે જામનગરમાં આવા ફોગીંગ મશીન જાણે અદ્રશ્ય થઇ ગયા છે.
તાત્કાલીક અસરથી ફોગીંગ મશીન શરુઆત કરવામાં આવે એવી જરુરીયાત છે, આશા છે કે, મહાપાલિકાનું તંત્ર આ દિશામાં ગંભીરતાપૂર્વક કામ કરશે અને લોકોને મચ્છરોની યાતનામાં રાહત આપવા થોડી પ્રજા નિષ્ઠા દેખાડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application