ગુજરાતમાં સૌથી વધુ આત્મહત્યાના બનાવો રાજકોટમાં નોંધાઈ રહ્યાનું કહેવું અતિશિયોક્તિ નથી, સરેરાસ પ્રતિદિન એક આત્મહત્યાને બદલે દિવસમાં બેથી વધુ સ્યુસાઇડ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં ત્રણ યુવાઓએ જિંદગી ટૂંકાવી લીધી હતી જેમાં 16 વર્ષીય સગીરાએ તેમજ બે યુવાનોને આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે.
રેલનગરમાં 35 વર્ષીય યુવકનો આર્થિકભીસથી આપઘાત
રેલનગરમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા તેજસ જીતેન્દ્રભાઈ જેઠવા (ઉ.વ.35)એ બપોરે બારેક વાગ્યે ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. યુવકને કામધંધો બરાબર ચાલતો ન હોય અને છેલ્લા કેટલાક સમયથી આર્થિકભીસ સહન કરી રહ્યા હોય જેનાથી કંટાળી પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. વધુ તપાસ પ્ર.નગર પોલીસે હાથ ધરી છે.
માતાને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાનું પિતાએ કહેતા પુત્રને લાગી આવતા ફાંસો ખાધો
રામપર બેટી ગામે રહેતા વિશ્વ દિનેશભાઈ ભલગામડીયા (ઉ.વ.૧૮)નો યુવક ગઈકાલે ઘરે હતો ત્યારે છતના હૂંકમાં દુપટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પિતાએ દુકાને આવવાનું કહ્યું હોય કેટલીક વાર સુધી દુકાને ન પહોંચતા પિતા ઘરે જોવા જતા પુત્ર લટકતો હતો. આ જોઈ તાકીદે નીચે ઉતારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર વિશાલ બે ભાઇમાં નાનો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે પહોંચી જરૂરી કાર્યવાહી તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના માતા ઘણા વર્ષોથી માનસિક બીમાર હોય આથી પિતાએ મેન્ટલ હોસ્પીટલમાં મોકલી દેવાનું કહેતા જે યુવકને ગમ્યું નહતું આ વાતનું લાગી આવવાથી પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જે.કે. રસીડેન્સીમાં સગીરાએ ગળેફાંસો ખાધો: મોત
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ આજી ડેમ ચોકડી પાસે જે.કે. રસીડેન્સી શેરી નં.૧માં રહેતી જયોતીરેખા રતિકાંતભાઈ ભુયાન (ઉ.વ.૧૬)ની સગીરા ગઈકાલે ઘરે પંખાના હૂંકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પુત્રીના મોતથી પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.