રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે અને પછી 24 કલાકમાં મર્ડરના બે બનાવથી ચકચાર, એકલા રહેતા વૃદ્ધની ઘરમાં જ છરીના ઘા ઝીંકી હત્યા

  • June 07, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં 24 કલાકમાં બે હત્યાની ઘટનાથી કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થયા છે. શુક્રવારે વાવડીમાં મિત્રના ભાઈના ભાડાના ડખ્ખામાં સાથે રહેલા નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓને સંકજામાં લઈ હજુ કાયદેસરની ધરપકડ બતાવવામાં નથી આવી ત્યાં ગઈકાલે ભક્તિનગર વિસ્તારમાં વાલ્કેશ્વર સોસાયટીમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધની તેના જ ઘરમાં છરીના આડેધડ ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે, વૃધ્ધએ હાથની આંગળીઓમાં પહેરેલી આઠેય સોનાની વીંટી, લક્કી અને ઘડિયાળ ગુમ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. હત્યાના બનાવની જાણ થતા ડીસીપી જગદીશ બાંગરવા, ભક્તિનગર પીઆઇ સરવૈયા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.​​​​​​​


મિત્રોને ફોન કરી ઘરે તપાસ કરવા જવાનું કહ્યું

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ભક્તિનગર વિસ્તારમાં વાલ્કેશ્વર સોસાયટી મેઈન રોડ શ્રી નગર શેરી નં-3માં રહેતા બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.70)ની છરીના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ તેમના જ ઘરેથી મળી આવતા વ\વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. ગઈકાલે વૃધ્ધનો આફ્રિકા રહેતો પુત્ર ઇકબાલ પિતાને ફોન કરતો હોય પરંતુ ફોન ઉપાડતા ન હોવાથી તેના મિત્રોને ફોન કરી ઘરે તપાસ કરવા જવાનું કહ્યું હતું. 


બરકતભાઈ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા

પુત્રના મિત્રો ઘરે જઈને જોતા બરકતભાઈ લોહી લુહાણ હાલતમાં જોવા મળતા પુત્ર સહીતના પરિવારજનોને જાણ કરતા માણસો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. વૃધ્ધને ગળા, છાતી, પીઠ સહિતના ભાગે છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. તેમજ આઠેય આંગળીઓમાં સોનાની વીંટી, હાથમાં લક્કી અને ઘડિયાળ પહેરતા હોય જે પણ જોવા ન મળતા હત્યા કરનારએ લૂંટ કરી હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.



સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી હત્યારાનું પગેરું મેળવવા તપાસ તેજ કરી

મૃતક બરકતભાઈ પાંચ ભાઈ અને ત્રણ બહેનમાં નાના હતા અને સંતાનમાં દીકરો દીકરી છે. જેમાં દીકરો આફ્રિકા અને દીકરી સુરત રહે છે. તેમની પત્ની ઝરીનાબેનનું વર્ષો પહેલા અવસાન થતા પોતે એકલા રહી નિવૃત જીવન ગાળતા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ રામજણભાઇ ગુલામભાઇ લાખાણી (ઉ.વ.70)ની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધ્યો છે. વૃદ્ધ એકલવાયું જીવન જીવતા હોય અને સુખી સંપન્ન હોવાથી ખરેખર લૂંટના ઇરાદે જ હત્યા કરવામાં આવી છે કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી હત્યારાનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News