જામનગરમાં એડવોકેટની હત્યાના ગુન્હામાં વધુ બે આરોપી રીમાન્ડ પર

  • March 27, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બેડીમાં થોડા દિવસો પહેલાં એડવોકેટની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા એક પછી એક આરોપીઓની અટકાયત કરી છે, અત્યાર સુધી ૮ આરોપીઓ સકંજામાં આવી ચુકયા છે, ગઇકાલે વધુ બે આરોપીને રીમાન્ડ પર લેવામાં આવ્યા હતા.
બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂનભાઈ પલેજાની હત્યા નીપજાવવામાં  આવી હતી. જેમાં કુખ્યાત સાયચા ગેંગ સહિતના શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ  હતી. જે ગુનાનાં આરોપીઓને  પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળની સીટની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
ત્યારબાદ ગઇકાલે વધુ બે આરોપીઓ ઇમરાન નૂરમામદ સાયચા અને રમજાન સલીમ સાયચાની અટકાયત કરી લઇ રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા આગામી તા. ૨ સુધી રીમાન્ડ મંજુર થયા છે, જયારે અન્ય શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
***
ખંભાળિયા: પોક્સો તથા આઈ.ટી. એક્ટ સંદર્ભે નોંધાયેલા ગુનામાં જામનગરના પરિણીત શખ્સને ત્રણ વર્ષની સખત કેદ: રૂ. એક લાખનો દંડ ફટકારતી સ્પે. પોકસો અદાલત

ખંભાળિયામાં વર્ષ ૨૦૨૧ દરમિયાન જામનગરના એક શખ્સ સામે નોંધાયેલા આઈ.ટી. એક્ટ તેમજ પોક્સો એક્ટના ગુનામાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો અદાલતે જામનગરના આ આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. ૧,૦૦,૦૦૦ દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ અગાઉ ખંભાળિયામાં રહેતી અને હાલ પરિણીત એવી એક યુવતીના ન્હાતી વખતે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા અનિલ વિરમભાઈ રાજગોર નામના પરણિત શખ્સ દ્વારા ફોટો ઉતારી અને ટ્રીક વડે તેના ન્યુડ વિડિયો બનાવ્યા હતા. આ વિડીયો તેણે બતાવી અને વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી યુવતીના મોબાઈલમાંથી પોતાના ન્યૂડ વિડીયો તથા ફોટોગ્રાફ મોકલવા દબાણ કર્યા બાદ આરોપી અને રાજગોર દ્વારા તેણીના ફોટા ફેસબુકમાં જુદા જુદા નામથી ફેક આઈડી બનાવી અને આ આઈડી પરથી તેણીના પતિ તથા અન્ય વ્યક્તિને મોબાઈલમાં મોકલ્યા બાદ ઇન્ટરનેટ કોલ કરી અને તેણીને ધમકી આપી હતી. આટલું જ નહીં, ફરિયાદી યુવતી ચારિત્રહીન હોય હોવાના આક્ષેપો મૂકી અને તેણીને પોતાના પતિને છોડી અને આરોપીએ પોતાની સાથે સંબંધ રાખવા ધમકી આપી હોવાનું વધુમાં ખુલવા પામ્યું હતું. જે અંગે યુવતી દ્વારા ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો હતો.
આ અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાલી જતા આ અંગે ભોગ બનનારની જુબાનીને ધ્યાને લઈ, અને આ સંદર્ભે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી વિવિધ દલીલોને ધ્યાને લઈને અદાલતે આરોપી અનિલ વિરમભાઈ રાજગોરને આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ચૂકવવા માટે હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application