શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોક પાસે બસમાં ભીડનો લાભ લઇ આણંદના કરમસદના મહિલાના પર્સમાંથી 1.20 લાખનો સોનાનો ચેન અને રોકડ રૂ.૩૦૦૦ સેરવી લીધા હતાં. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આ ચોરીમાં ત્રણ મહિલાને ઝડપી લઇ સોનાનો ચેન- રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરીપરાના માર્ગદર્શન હેઠળ ટીમ અનડીટેકટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે તપાસમાં હતી. દરમિયાન ગઈ તા. 2/11 ના રોજ કાલાવડ રોડ પર કેકકેવી હોલ ચોક નજીક આણંદના કરમસદમાં રહેતા ભારતીબેન જેન્તીભાઇ રાબડીયા(ઉ.વ. ૫૫) મહિલા બસમાં ચડવા જતાં ભીડનો લાભ લઇ તેના પર્સમાંથી સોનાનો પેન્ડલ સાથેનો ચેન કિંમત રૂપિયા 1.20 લાખ અને રોકડ રૂ.3 હજાર પર્સમાંથી કોઈએ સેરવી લીધા હોવા અંગેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે અંગે પીએસઆઇ એન.એચ. મહારાજની રાહબરી હેઠળ ટીમે તપાસ શરૂ કરી હતી.
તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં આ ચોરીમાં ત્રણ મહિલાઓને ઝડપી લીધી હતી જેના નામ ગીતા રાજુભાઈ કાંબલે(ઉ.વ ૫૦ રહે હાલ જંક્શન રેલ્વે સ્ટેશન ફૂટપાથ, મૂળ નંદુબાર રેલવે સ્ટેશન પાસે મહારાષ્ટ્ર), છાયાબેન સુરેશભાઈ આરસે(ઉ.વ 25 રહે. સુરત ઉધના રેલ્વે સ્ટેશન પાસે, મૂળ ધુલિયા મહારાષ્ટ્ર) અને મીરા રામભાઈ અંધારે (ઉ.વ 29 રહે. ઉધના રેલવે સ્ટેશન પાસે સુરત, મૂળ માલેગાંવ મહારાષ્ટ્ર) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ મહિલાઓ પાસેથી સોનાનો ચેન તથા રોકડ રૂ. 3,000 સહિત તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કામગીરીમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરીપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એચ. મહારાજ, એએસઆઈ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, દીપકભાઈ પંડિત, અજયભાઈ ભુંડિયા, કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, નિકુંજભાઈ મારવીયા,ભીખુભાઈ મૈયડ સાથે રહ્યા હતાં.