અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે સવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા અરેરાટી મચી ગઈ હતી. ખાનગી બસ અને કિયા કાર વચ્ચે અકસ્માત થતા બંનેના ડ્રાઈવર વચ્ચે સમધાન ચાલતું હતું. આથી બસમાંથી મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે જ પાછળથી આવતી ટ્રક તેના પર ફરી વળી હતી. જેમાં ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે 15 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે આ દર્દનાક અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની શરૂઆત કાર અને એક લક્ઝરી બસ વચ્ચે ટક્કર થવાથી થઈ હતી. પહેલાં અકસ્માત બાદ બંને વાહનોના ડ્રાઇવરો રસ્તા પર ઊતરીને સમાધાનની વાત કરી રહ્યા હતા. આ સમયે લક્ઝરી બસમાંથી પણ કેટલાક મુસાફરો નીચે ઊતર્યા હતા. તે જ સમયે પાછળથી અચાનક ધસી આવેલી અન્ય એક ટ્રક રોડ પર ઊભેલા આ મુસાફરો પર ફરી વળી હતી. આ ગંભીર દુર્ઘટનામાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં અમદાવાની મણિનગરની એલજી હોસ્પિટલમાં એક દર્દી હાલ સારવાર હેઠળ છે. જ્યારે બાકીના 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતાં રહ્યાં હતા. એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તમાં અન્ય ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા. જોકે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા. મણીનગરની એલજી હોસ્પિટલમાં કુલ 8 લોકો સારવાર લેવા માટે આવ્યા હતા.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્રણેય મહિલા દર્દી છે. ત્રણમાંથી બે મહિલાને ફ્રેક્ચર છે જ્યારે એક મહિલાને માથામાં ઇજા છે. ત્રણેય મહિલાઓ હાલ સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મોત થયા છે. કેટલાક ઇજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો મેસેજ મળતાની સાથે જ કણભા અને વિવેકાનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 8 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિકજામ થયો હતો. જેથી એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકી નહોતી. 3 દર્દીઓને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અન્ય ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી હોવાથી ખાનગી વાહનોને રોકીને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જતા રહ્યા હતા.