રાજકોટની મારવાડી યુનિવર્સિટીના યજમાન પદે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપતી વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશી મહેમાનો ઉપસ્થિત રહેશે અને રાજકોટના મહેમાન બનવા જઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીની સુરક્ષા અને લોજિસ્ટિક સહિતની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ તૈયારીના ભાગરૂપે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હીરાસર સ્થિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર વાયુસેનાના એક હેલિકોપ્ટર દ્વારા
સુરક્ષા અને લેન્ડિંગ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
આજના દિવસે વાયુ સેના દ્વારા એક તેમજ આવતીકાલે ત્રણ હેલિકોપ્ટરના રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વાયુ સેના દ્વારા હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત હીરાસર એરપોર્ટ તેમજ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને સંબંધિત અધિકારીને ખાસ નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટ એરપોર્ટ પર વાઇબ્રન્ટ સમિટને લઈને વડાપ્રધાન તેમજ દેશ-વિદેશથી આવનાર મહેમાનો માટે સુવિધામાં વધારો કરાયો છે. તેની સાથે સાથે તમામની સુરક્ષા માટે તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર, સુરક્ષા એજન્સીઓ તથા એરપોર્ટ ઓથોરિટી ખભે-ખભા મિલાવી અને બંદોબસ્તમાં લાગી ગઈ છે.