કેન્સર મુક્ત સમાજની દિશામાં એક ઐતિહાસિક કદમ: ૬૦૦૦થી વધુ બહેનોએ લીધો નિદાન અને રસીકરણનો લાભ
નિષ્ણાત તબીબોના સહયોગથી મેમોગ્રાફી, સોનોગ્રાફી અને વેક્સિનેશન દ્વારા માતૃશક્તિનું જતન
ખોડલધામ મહિલા સમિતિ-જામનગર હંમેશા સામાજિક ઉત્થાન અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રણી રહી છે, પરંતુ તાજેતરમાં આયોજિત કેન્સર નિદાન કેમ્પ માત્ર એક મેડિકલ કેમ્પ નહીં, પરંતુ મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટેનો એક મહાયજ્ઞ સાબિત થયો છે. વર્તમાન સમયમાં જ્યારે મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે જામનગર જીલ્લા ખોડલધામ મહિલા સમિતિએ એક જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવીને હજારો મહિલાઓના જીવ બચાવવાનું પુણ્ય કાર્ય કર્યું છે.
આ આરોગ્યલક્ષી કેમ્પમાં શહેરના નામાંકિત તબીબો અને હોસ્પિટલોના સહયોગથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.જી. હોસ્પિટલના નિષ્ણાત ડો. શિલ્પાબેન ચુડાસમાના અમૂલ્ય સહયોગથી ૪૯૦૦ જેટલી બહેનોની મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરવામાં આવી હતી. સામાન્ય રીતે મધ્યમ વર્ગની મહિલાઓ જે ટેસ્ટ કરાવવામાં સંકોચ અનુભવતી હોય અથવા આર્થિક કારણોસર ટાળતી હોય, તેવા ગંભીર રોગના નિદાનને સમિતિએ સહજ અને સુલભ બનાવી દીધું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર તપાસ કરવાનો જ નહોતો, પરંતુ મહિલાઓમાં કેન્સર પ્રત્યે જાગૃતતા (Awareness) ફેલાવીને તેમને સ્વસ્થ જીવન તરફ દોરવાનો હતો, જેમાં સમિતિને અભૂતપૂર્વ સફળતા મળી છે.

આ મહાઅભિયાનમાં માત્ર પ્રાથમિક તપાસ જ નહીં, પરંતુ ગંભીર બીમારીઓને ઉગતી ડામવા માટે સચોટ નિદાન અને રસીકરણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સંજીવની હોસ્પિટલના ડો. મોનિકા દોંગાના સહકારથી ૮૨૦ જેટલી બહેનોના ગર્ભાશયના મુખનું (સર્વાઈકલ કેન્સર) નિદાન કરવામાં આવ્યું હતું, જે સ્ત્રી આરોગ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ ઉપરાંત, ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી મધરકેર હોસ્પિટલના ડો. નિમેશ વરસાણીના સહયોગથી ૪૮૦ બહેનોને કેન્સર સામે રક્ષણ આપતી વેક્સિન આપવામાં આવી હતી. જેમાં ૯ થી ૧૪ વર્ષની દીકરીઓને વેક્સિનના ૨ ડોઝ અને ૧૫ થી ૪૫ વર્ષની મહિલાઓને ૩ ડોઝ આપીને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું.
આમ, કુલ મળીને ૬૦૦૦થી વધુ બહેનોએ મેમોગ્રાફી, સોનોગ્રાફી, ગર્ભાશયના મુખનું નિદાન અને વેક્સિનેશન જેવી અત્યંત મોંઘી અને જરુરી સેવાઓનો લાભ લીધો હતો. ખોડલધામ મહિલા સમિતિ-જામનગરનું આ આયોજન સમગ્ર ગુજરાત માટે નારી સ્વાસ્થ્ય ક્ષેત્રે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યું છે.