પીએમના બેનર પર શાહી લગાવતા મહાપાલિકાએ તત્કાલ દૂર હટાવ્યું
પીએમના બેનર પર શાહી લગાવતા મહાપાલિકાએ તત્કાલ દૂર હટાવ્યું
October 15, 2025 03:30 PM
રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર બહુમાળી ભવન નજીક આજરોજ રાજકોટ આવી રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માને આવકારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની તસવીર સાથેનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું, દરમિયાન કોઇ ટીખળખોર શખ્સે આ બેનર ઉપર કાળી શાહી ફેંકતા મહાપાલિકા તંત્રએ તાત્કાલિક અસરથી આ બેનર ત્યાંથી દૂર કર્યું હોવાનું જાણવા મળે છે.
દરમિયાન આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવેનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આજે સમગ્ર શહેર ભાજપ પ્રદેશ પ્રમુખને સત્કારવાની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે આવી ઘટના બની તે દુઃખદ છે, હાલ મહાપાલિકા તંત્ર મારફતે તાત્કાલિક અસરથી શાહીયુકત બેનર કરાવી ત્યાં નવું બેનર મુકાયું છે. તદઉપરાંત આવી હીન હરકત કરનારને શોધવા પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખનો આજનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવતીકાલે આ મામલે પ્રદેશની સુચના અનુસાર આગળની કાર્યવાહી કરાશે.